આણંદ જિલ્લામાં “સેવાસેતુ” કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ: જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
Publish Date : 11/09/2026
પ્રજાના પ્રશ્નોના સ્થળ પર નિકાલ માટે આણંદ જિલ્લામાં “સેવાસેતુ ૨.૧” ગ્રામ્ય અને “સેવાસેતુ (શહેરી) ૧૨મો તબક્કો” યોજાશે
ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ક્લસ્ટર મુજબ કાર્યક્રમો યોજી ૫૦થી વધુ લોકકલ્યાણકારી સેવાઓનો લાભ ઘરઆંગણે અપાશે
આણંદ, રાજ્ય સરકારના પારદર્શક, ગતિશીલ અને સંવેદનશીલ વહીવટના અભિગમને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી આણંદ જિલ્લામાં “સેવાસેતુ ૨.૧ (ગ્રામ્ય)” અને “સેવાસેતુ (શહેરી) બારમો તબક્કો” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતો અને સરકારી યોજનાઓના લાભોનો સ્થળ પર જ ઝડપી ઉકેલ લાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સંદર્ભે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
સેવાસેતુ કાર્યક્રમ હેઠળ આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બે તબક્કામાં કામગીરી હાથ ધરવામાં આવશે. જે મુજબ પ્રથમ તબક્કો તા.૧૯/૦૯/૨૦૨૬ સુધી અને બીજો તબક્કો તા.૨૧/૦૯/૨૦૨૬ થી તા.૦૯/૧૦/૨૦૨૬ દરમિયાન યોજાશે. આ માટે સમગ્ર તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોને આવરી લેતા ૮ થી ૧૦ ગામોના જૂથ એટલે કે ક્લસ્ટર બનાવી દરેક જૂથ દીઠ એક સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
આ જ રીતે શહેરી વિસ્તારો માટે પણ ૧૨મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ તા.૨૧/૦૯/૨૦૨૬ થી તા.૦૯/૧૦/૨૦૨૬ દરમિયાન યોજાશે, જેમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં બે અને જિલ્લાની દરેક નગરપાલિકા દીઠ બે કાર્યક્રમોનું આયોજન વોર્ડ ક્લસ્ટર મુજબ કરવામાં આવશે.
આ સેવાસેતુ કાર્યક્રમોમાં નાગરિકોને મુખ્યત્વે ૫૫ જેટલી વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં આધાર કાર્ડ નોંધણી અને સુધારા, રેશનકાર્ડ સંબંધિત કામગીરી, આવક અને જાતિના દાખલાઓ, પી.એમ. જન આરોગ્ય યોજના (PMJAY), મા અમૃતમ કાર્ડ, વિધવા સહાય, વૃદ્ધ નિરાધાર સહાય, અને કૃષિ વિભાગની વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલયની અરજીઓ અને બેંકિંગ સંબંધિત સેવાઓ પણ નાગરિકોને તેમના રહેઠાણના નજીકના સ્થળે પૂરી પાડવામાં આવશે.
જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા વિવિધ વિભાગોના અધિકારીઓને ચોક્કસ જવાબદારીઓ સોંપવામાં આવી છે. કાર્યક્રમ પૂર્વે જે-તે ક્લસ્ટરના ગામોમાં સર્વેક્ષણ અભિયાન હાથ ધરીને જરૂરી દસ્તાવેજો એકત્ર કરવા જણાવ્યું છે. જેથી સેવાસેતુના દિવસે નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે.
આ બેઠકમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આર. એન. ડોડીયા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, અધિક કલેક્ટર શ્રી રાહુલ ગમારા, આણંદના પ્રાંત અધિકારીશ્રી, સહિત વિવિધ જિલ્લા કક્ષાની કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા કક્ષાના અધિકારીઓ આ સમીક્ષા બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

આણંદ જિલ્લામાં “સેવાસેતુ” કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ: જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

આણંદ જિલ્લામાં “સેવાસેતુ” કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ: જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક