બોરસદ તાલુકાના વહેરા ગામે નવી દૂધ ડેરી બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરતા નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ
Publish Date : 11/09/2026
પશુપાલન માત્ર રોજગારી નહીં પણ ગ્રામીણ સમૃદ્ધિનો મજબૂત આધાર- મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ
આણંદ, મંગળવાર, બોરસદ તાલુકામાં વહેરા ગામે પશુપાલકોના હિતમાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા નવી દૂધ ડેરી બનાવવાનું ખાતમુહૂર્ત નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું .
મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ નવીન ડેરીના નિર્માણથી સ્થાનિક પશુપાલકોને આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે અને તેમના દૂધ ઉત્પાદનને સાચી કિંમત તેમજ સુદ્રઢ વ્યવસ્થા મળી રહેશે.
વધુમાં મંત્રી શ્રી એ ઉમેર્યું હતું કે દૂધ ઉત્પાદન અને પશુપાલન એ માત્ર રોજગારનું સાધન નથી, પરંતુ સમગ્ર ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવતું અત્યંત મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. વહેરા ગામે આકાર લેનારી નવી દૂધ ડેરી પશુપાલકોને વધુ સુવિધા, શ્રેષ્ઠ વ્યવસ્થા અને આર્થિક સમૃદ્ધિની નવી તકો સાથે જોડવામાં પાયારૂપ સાબિત થશે. પશુપાલકોના પરિશ્રમને સમૃદ્ધિ સાથે જોડવાના સતત પ્રયાસોના ભાગરૂપે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જે ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુને વધુ સક્ષમ બનાવશે.
પશુપાલકોના ઉત્કર્ષ માટે લેવાયેલું આ પગલું ગ્રામ્ય સ્તરે પાયાની સુવિધાઓ મજબૂત કરવાની રાજ્ય સરકારની કટિબદ્ધતા દર્શાવે છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી નયનાબેન ઠાકોર, તાલુકા પંચાયતના શ્રી યોગેશભાઈ પટેલ, પૂર્વ ચેરમેન શ્રી હિતેષભાઈ પટેલ, અગ્રણી શ્રી સચીનભાઈ પટેલ, એ.પી.એમ.સી. ચેરમેન શ્રી અશોકભાઈ મહીડા, વહેરા ગામના સરપંચ શ્રી કુશાગ્ર પટેલ, દૂધ મંડળીના ચેરમેન શ્રી રાવજીભાઈ ઠાકોર સહિત ગામના અગ્રણીઓ અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

બોરસદ તાલુકાના વહેરા ગામે નવી દૂધ ડેરી બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરતા નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ

બોરસદ તાલુકાના વહેરા ગામે નવી દૂધ ડેરી બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરતા નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ