આણંદ જિલ્લામાં વરસાદ બાદ ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ
Publish Date : 28/07/2026
માર્ગ અને મકાન વિભાગની ૦૮ ટીમો તૈનાત: નાગરિકોની સુવિધા માટે રાત-દિવસ રોડ રીપેરીંગનું કામ પૂરજોશમાં
આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં ગત દિવસો દરમિયાન વરસેલા અવિરત વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના પ્રવાહને કારણે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા હતા. હાલમાં વરસાદે વિરામ લેતાની સાથે જ જનજીવનને પૂર્વવત કરવા અને વાહનવ્યવહારને સુગમ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના સીધા માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત અને સ્ટેટ) ના કાર્યપાલક ઇજનેર દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગોના પેચવર્ક કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોના પેચવર્કની આ મિશન મોડ કામગીરી અંગે વિગતો આપતા કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં વરસાદી પાણીથી નુકસાન પામેલા રસ્તાઓના ત્વરિત દુરસ્તીકરણ માટે કુલ ૦૮ જેટલી વિશેષ ટીમો કાર્યરત કરવામાં આવી છે. આ ટીમો દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર પ્રોટેક્શન વર્ક કરવાની સાથે-સાથે મેટાલિક પેચવર્કની કામગીરી પણ અત્યંત વેગથી ચલાવવામાં આવી રહી છે. રસ્તાઓના સમારકામ માટે તૈનાત કરવામાં આવેલી આ આઠ ટીમો અત્યાધુનિક સંસાધનોથી સજ્જ છે, જેમાં દરેક ટીમ સાથે જેસીબી મશીન, ટ્રેક્ટર અને ડમ્પર જેવી મશીનરી સાથે મોટી સંખ્યામાં કુશળ શ્રમિકો પણ જોડાયા છે જેઓ દિવસ-રાત જોયા વગર સતત કામગીરી કરી રહ્યા છે.
જિલ્લામાં ચાલી રહેલી આ કામગીરીને કારણે હવે માર્ગો ક્રમશઃ મોટરેબલ’ એટલે કે વાહન ચલાવવા લાયક બની રહ્યા છે. આગામી ટૂંકા સમયમાં તમામ મુખ્ય અને અંતરિયાળ માર્ગોનું સમારકામ પૂર્ણ કરી લેવામાં આવશે તેમ માર્ગ અને મકાન વિભાગ ના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

આણંદ જિલ્લામાં વરસાદ બાદ ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

આણંદ જિલ્લામાં વરસાદ બાદ ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

આણંદ જિલ્લામાં વરસાદ બાદ ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ