ખેડૂતો માટે એક દિવસીય વર્કશોપ-કમ-તાલીમ યોજાઈ
Publish Date : 01/05/2026
આણંદ, ગુરૂવાર, કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આણંદ તથા આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના સંયુક્ત ઉપક્રમે 10 જિલ્લાના બી.આર.સી. (Bio-Resource Center) યુનિટ ધરાવતા ખેડૂતો માટે એક દિવસીય વર્કશોપ-કમ-તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બી.આર.સી. યુનિટને વધુ કાર્યક્ષમ અને અધ્યતન બનાવવાનો હતો. તાલીમ દરમિયાન આણંદ કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોની વિશેષ ટીમ દ્વારા ખેડૂતોને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું . જેમાં જીવામૃત, બિજામૃત, ઘનજીવામૃત તેમજ નીમાસ્ત્ર, અગ્નીઆસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને દશપરણી અર્ક જેવા પ્રાકૃતિક કૃષિના મહત્વપૂર્ણ ઘટકો અંગે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી.
આ ઉપરાંત આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી જી.સી. ભાલોડીએ પ્રાકૃતિક કૃષિમાં બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટરનું મહત્વ, તેની ઉપયોગિતા અને ખેડૂતમિત્ર ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં સહ સંશોધન નિયામક, આણંદ કૃષિ યુનિવર્સિટી, ડો. વી.જે. પટેલ દ્વારા પ્રાકૃતિક કૃષિના મહત્વ અને તેને સફળતાપૂર્વક અમલમાં મૂકવા માટે રાખવાની વિશેષ કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ વર્કશોપ માં મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

ખેડૂતો માટે એક દિવસીય વર્કશોપ-કમ-તાલીમ યોજાઈ