ઔધોગિક એકમોએ કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે
Publish Date : 19/06/2025
આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય / પેટા ચુંટણી તા. ૨૨ જૂન ૨૦૨૫ રવિવારનાં રોજ યોજાશે.
આણંદ, બુધવાર: આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય / પેટા ચુંટણી તા. ૨૨ જૂન ૨૦૨૫ રવિવારનાં રોજ યોજાનાર છે.
મતદાનના દિવસે જે તે વિસ્તારમાં કારખાના ધારા – ૧૯૪૮ હેઠળનાં નોંધાયેલા (ઔધોગિક એકમો) કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ-૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા/સાઇટ પર કામ કરતાં શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે કારખાનાનાં શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ અન્વયે નોંધણી થયેલ સંસ્થાઓ/સાઇટના કામ કરતાં શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે.
વધુમાં,રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓનાં પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં. રજાનાં કારણે જો શ્રમયોગી/કર્મચારી પગાર મેળવવાનો હક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં જે તે વ્યકિત રજા જાહેર ન થઇ હોય અને જે પગાર મળવાપાત્ર હોય તેટલો પગાર ચુકવવાનો રેહશે.
જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભુ થવા સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.
જો કોઈ કારખાનેદાર ઉપરોક્ત જોગવાઈઓથી વિરુધ્ધનું વર્તન કરશે તો ઉપરોક્ત કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનનાં દિવસે કોઈ ફરિયાદ હશે તો રૂમ નં. ૨૧૮ / ૨૧૯, જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે આવેલા આણંદના ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગનો સંપર્ક કરી શકાશે.
વધુમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના મદદનીશ નિયામક શ્રીમતી આર. એમ. રાઠવાને પણ સંપર્ક નંબર -૦૨૬૯૨ – ૨૬૪૩૯૬ પણ જાણ કરી શકાશે.