રાષ્ટ્રીય વસ્તી ગણતરી – ૨૦૨૭
Publish Date : 25/05/2026
આણંદ જિલ્લામાં 13055 થી વધુ નાગરિકોએ સફળતાપૂર્વક સ્વ-ગણતરી પૂર્ણ કરી
શું તમે તમારી સ્વ-ગણતરી પૂર્ણ કરી?
સ્વ-ગણતરી કરવાની છેલ્લી તારીખ: ૩૧ મે
પોર્ટલ: se.census.gov.in
આજે જ સ્વ-ગણતરી પૂર્ણ કરો અને રાષ્ટ્રના મહત્વપૂર્ણ કાર્યમાં સહભાગી બનો
આણંદ, શુક્રવાર,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનગણના 2027 અન્વયે શરૂ થયેલી સ્વ-ગણતરીનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને સ્વ-વસ્તી ગણતરીની ઔપચારિક શરૂઆત કરાવી હતી.
તેમણે રાજ્યના નાગરિકોને પણ આ રાષ્ટ્રીય સ્તરે મહત્વની કવાયતમાં સક્રિયપણે ભાગ લઈને સશક્ત, સમાવિષ્ટ અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા પણ અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ વખતે વસ્તી ગણતરી-2027 સંપૂર્ણપણે ડિજિટલ મોડથી પોર્ટલ અને મોબાઇલ આધારિત કરવામાં આવી રહી છે. તા.31-05-2026 સુધીમાં લોકો પોતાની જરૂરી વિગતો જાતે ઓનલાઇન ભરીને આ પ્રક્રિયામાં સહભાગી થઈ શકશે.
સ્વ-ગણતરીની આ પહેલ નાગરિકોને સરળ, સુરક્ષિત અને અનુકૂળ ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે તેના થકી નાગરિકો ગમે ત્યાંથી પોતાની માહિતી ઓનલાઇન સબમિટ કરી શકે છે. નાગરિકો https://se.census.gov.in/ પરથી જરૂરી માર્ગ દર્શન દ્વારા તેમની સ્વ-ગણતરી પૂર્ણ કરી શકે છે તેમજ સક્રિય નાગરિક ભાગીદારીથી પોતાની વિગતો ઓનલાઈન ભરીને સમયસર અને સચોટ માહિતી પણ આપી શકે છે.
આણંદ જિલ્લામાં ભારતની પ્રથમ ડિજિટલ જનગણના 2027 અંતર્ગત ‘સ્વ-ગણતરી’ પોર્ટલમાં
આણંદ જિલ્લામાં આજ દિન સુધીમાં 13055 થી વધુ નાગરિકોએ સફળતાપૂર્વક સ્વ-ગણતરી પૂર્ણ કરી છે.
આણંદ જિલ્લાના નાગરિકોને જિલ્લામાં વસ્તી ગણતરી માટેની સ્વ-ગણતરી પ્રક્રિયા તા.૩૧ મે, ૨૦૨૬ દરમિયાન ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાની સાચી અને સંપૂર્ણ માહિતી આપી આ જનગણનામાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.