બોરસદના બોદાલ ગામે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે બે નવીન આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ
Publish Date : 29/06/2026
મંત્રી શ્રી એ આંગણવાડીના ભૂલકાઓને કીટ વિતરણ કરી પ્રવેશ કરાવ્યો
આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં શિક્ષણ અને પોષણ અભિયાનને વેગ આપતા, ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે આજે આઈ.સી.ડી.એસ. ઘટક-૩ ના દાવોલ સેજા હેઠળ આવતા બોદાલ ગામમાં બે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મંત્રી શ્રી રમણભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે બોદાલ ગામના નવાઘરા અને પીપળી ફળીયું વિસ્તારમાં તૈયાર થયેલા આ આધુનિક સુવિધાયુક્ત કેન્દ્રો બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. મંત્રી શ્રી એ કહ્યું કે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ જાગૃત કરવાનો અને ગ્રામીણ સ્તરે પાયાના શિક્ષણની સાથે પોષણ સ્તરમાં સુધારો લાવવાનો છે.
આ તકે મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ નવીન આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
કાર્યક્રમમાં આંગણવાડીમાં પ્રવેશ પાત્ર નાનાં ભૂલકાઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે બાળકોને વિદ્યારંભ પ્રમાણપત્ર, શાળાના ગણવેશ, પ્રિ-સ્કૂલ કીટ અને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બોદાલ ગામના સરપંચ શ્રીમતી વૈશાલીબેન પટેલ, સી.ડી.પી.ઓ. શ્રીમતી માલતીબેન પઢિયાર, શિક્ષકો, વાલીઓ, આંગણવાડી કાર્યકરો, દાતાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

બોરસદના બોદાલ ગામે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે બે નવીન આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ