પ્રાકૃતિક કૃષિની પધ્ધતીથી વાવેતર કરેલ ટામેટા થકી રૂપિયા ૨ લાખની આવક મેળવતા સોજીત્રાના મનોજભાઈ પરમાર
Publish Date : 26/05/2025
બાગાયત વિભાગની યોજનાકીય સહાય થકી ટામેટા માટેનું ધરુ પોતાના ખેતરમાં વાવેતર કર્યું.
પ્રાકૃતિક ખેતી અપનાવાથી ૧ વીઘા દીઠ ૧૦ ટન જેટલા ટામેટાનું મબલક ઉત્પદાન: મનોજભાઈ પરમાર.
પ્રાકૃતિક ખેતી થકી જમીનની ફળદ્રુપતા વધારી અને દવામુક્ત પાક ઉછેર કરી અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરાણારૂપ.
આણંદ,શુક્રવાર: આણંદ જિલ્લો જે બાગાયત ખેતીમાં અગ્રેસર છે. એમાં સોજીત્રા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી મનોજભાઇ તુલસીભાઈ પરમાર કે જે છેલ્લા છ વર્ષ થી પ્રાકૃતિક ખેતી પધ્ધતી સાથે સંકળાયેલા છે. તેઓએ પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો જેવા કે જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃતનો ઉપયોગ કરીને શાકભાજી પાકો જેવા કે ટામેટા, ફૂલાવર, કાકડી જેવા પાકોનું વાવેતર કરી રહ્યા છે.
ચાલુ વર્ષે મનોજભાઈએ પ્રાકૃતિક કૃષિની પધ્ધતીથી પોતાની ૮ વીઘા જમીનમાં ટામેટાની ખેતી કરેલ હતી. આ વર્ષે તેઓને એક વીઘામાથી દસ ટન ટામેટાનું ઉત્પાદન મળેલ હતું.જેના થકી તેઓએ કુલ રૂપિયા ૨ લાખની આવક મેળવી હતી.
આ ઉપરાંત તેમને બાગાયત વિભાગ તરફથી પ્રાકૃતિક ખેતી માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહનની યોજના થકી રૂપિયા ૪૦ હજારની સહાય મળેલ છે. વધુમાં તેઓ આ ટામેટાની ખેતી માટે ધરુ બહારથી લાવતા હતા. જેનાથી તેમના ખેતી ખર્ચ માં પણ વધારો થતો હતો અને યોગ્ય ગુણવતા યુક્ત ધરુ મળતું ન હતું. તેમજ રોગ અને જીવાતના પણ ઘણા પ્રશ્નો સર્જાતા હતા.
આ બધા કારણોના લીધે તેઓએ બાગાયત વિભાગની યોજના સ્વરોજગાર લક્ષી બાગાયત નર્સરી વિકાસ કાર્યકમ હેઠળ મનોજભાઈએ પાંચ ગુંઠામાં નર્સરી બનાવેલ જેમાં તેઓને રૂપિયા ૨,૬૨,૫૦૦ની સહાય બાગાયત વિભાગ તરફથી સહાય આપવામાં આવી હતી.
મનોજભાઈએ વધુમાં ઉમેરતાં જણાવ્યું હતું કે, આ નર્સરી થકી તેઓ તેમના ટામેટા માટે ધરુ જાતે પોતાના ખેતરે ઉછેર્યા હતો. આમ કરવાથી તેઓને ખેતી ખર્ચમાં પણ ઘટાડો થયો છે. આ ગુણવતાં યુક્ત ધરુનો ઉછેર કરી પાક લેવાથી ટામેટાના પાકમાં ઉત્પાદન પણ સારું એવું થયું હતું.તદ્ઉપરાંત મનોજભાઈ બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવાની તાલીમ અને પ્રોત્સાહન આપે છે.
આમ, મનોજભાઈ પ્રાકૃતિક ખેતી થકી જમીનની ફળદ્રુપતા વધારી અને દવામુક્ત પાક ઉછેર કરી અન્ય ખેડૂતો માટે પ્રેરાણારૂપ બન્યા છે.