ઉપરવાસમાં વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને પાનમ જળાશયમાં સતત વધારો
Publish Date : 30/08/2025
આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના ગ્રામ્ય વિસ્તારોને સાવચેત કરાયા
આણંદ, શનિવાર: પાનમ જળાશયમાં ઉપરવાસમાં વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને જળાશયની જળ સપાટી માં સતત વધારો થઈ રહેલ છે.
હાલમાં પાનમ જળાશયનું રૂલ લેવલ ૧૨૭.૩૧ મીટર છે. પાનમ જળાશયના કેચમેંટ વિસ્તારમાં સતત વરસાદ ચાલુ હોય તથા ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે એ અન્વયે ચાલુ માસે રૂલ લેવલ જાળવવા માટે બપોરે આજે પાનમ ડેમના ૨ દરવાજા ૦.૯૦ મીટર ખોલવામાં આવશે. દરવાજા મારફતે પાનમ નદીમાં આશરે ૮૪૩૬ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે.જેથી અસરગ્રસ્ત થનાર ગામોને સાવચેત કરવા પાનમ નિયંત્રણ પક્ષ ગોધરા દ્વારા જણાવવામાં આવ્યું છે.
જે અન્વયે આણંદ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોરસદ તાલુકાના ૮ જેટલા,આણંદના ૪ ,ઉમરેઠના ૨ અને આંકલાવના ૧૨ જેટલા ગ્રામ્ય વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.
બોરસદ તાલુકાના ગાજણા, સારોલ, કંકાપુરા, નાની શેરડી, કોઠીયા ખાડ, દહેવાણ, બાદલપુર,વાલવોડ જેવા ગ્રામ્ય વિસ્તારોને સાવચેત કરાયા છે.આણંદ તાલુકાના ખાનપુર, આંકલાવવાળી,રાજુપુરા તથા ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા,ખોરવાડ તથા આંકલાવ તાલુકાના ચમારા,બામણગામ, ઉમેટા,ખડોલ – ઉમેટા, સંખ્યાડ, કાનવાડી, અમરોલ,ભાણપુરા, આસરમા,નવાખલ, ભેટાસી વાંટો,ગંભીરા જેવા ગ્રામ્ય વિસ્તારોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે.