Close

આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં જી.યુ.ડી.સી. દ્વારા નલ સે જલ યોજના અને ડ્રેનેજ લાઈન અંતર્ગત હાથ ધરાયેલ કાર્ય ઝડપભેર પૂર્ણ કરવા તાકીદ

Publish Date : 21/06/2025

આણંદ મહાનગરપાલિકાના વહીવટદાર અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ યોજી જી.યુ.ડી.સી. ના અધિકારીઓ સાથે બેઠક યોજી.

આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં જી.યુ.ડી.સી. દ્વારા કરવામાં આવેલ ખોદકામનું યોગ્ય પુરાણ કર્યા બાદ મહાનગરપાલિકા દ્વારા તાકીદે જરૂરીયાત મુજબના રોડ-રસ્તા બનાવાશે.

વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ તાત્કાલીક આણંદ મહાનગરપાલિકા દ્વારા ગ્રેન્યુલર સબ બેઇઝ મટીરીયલ અને સ્યુટેબલ મટીરીયલ નાખીને રસ્તાને મોટરેબલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ.

આણંદ, શનિવાર: આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની, ગાંધીનગર દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન અને ડ્રેનેજ લાઈન નાખવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન જી.યુ.ડી.સી. દ્વારા ખોદકામ કરીને પાણીની નવી પાઇપલાઇન નાખવાનું તેમજ ડ્રેનેજ લાઈનના કામો માટે કરવામાં આવેલ ખોદકામનું વ્યવસ્થિત રીતે પુરાણ કરવામાં આવેલ ન હોવાથી તાજેતરમાં પડેલા વરસાદના કારણે આવા વિસ્તારોમાં કાદવ કિચડ થવા પામેલ છે, જેના કારણે શહેરીજનોને તેમના વાહન સાથે આવવા – જવા માટે ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહયો છે.

આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાના ધ્યાને આ બાબત આવતા તેમણે મહાનગરપાલિકાના વહીવટદાર અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સાથે ચર્ચા કરી જી.યુ.ડી.સી. દ્વારા યોગ્ય રીતે કામગીરી પૂર્ણ કરવામાં ન આવતી હોવાના કારણે મહાનગરપાલિકા આવા વિસ્તારોમાં નવા રસ્તા બનાવી શકતી નથી તેમ જણાવ્યું હતું.

જે સંદર્ભે મહાનગરપાલિકાના વહીવટદાર અને જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાએ જી.યુ.ડી.સી., ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓને આણંદ ખાતે બોલાવીને તેમની સાથે બે વાર બેઠક યોજી આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવા માટે અને ડ્રેનેજ લાઈનની કામગીરી માટે જે ખોદકામ કરવામાં આવેલ છે, તેનું વ્યવસ્થિત રીતે પુરાણ કરીને તાકીદે રોડ-રસ્તાઓ મોટરેબલ કરી મહાનગરપાલિકાને જાણ કરવા તાકીદ કરી હતી.

આ બેઠકમાં કલેકટરશ્રીએ જી.યુ.ડી.સી. દ્વારા પાણીની પાઇપલાઇન માટે ખોદવામાં આવેલ રોડ-રસ્તાઓનું પુરાણ કરવામાં આવ્યું ન હોવાથી વર્તમાન વરસાદની પરિસ્થિતિમાં નગરજનોને ઘણી જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, તેમ જણાવી જી.યુડી.સી. ના અધિકારીશ્રીઓને જ્યાં ખોદકામ કરવામાં આવેલ છે, તે તમામ જગ્યાઓ ઉપર વ્યવસ્થિત રીતે પુરાણ કરીને રસ્તાઓ મોટરેબલ બનાવીને તેની જાણ મહાનગરપાલિકાના કમિશનરશ્રીને કરવા જણાવ્યું હતુ.

મહાનગરપાલિકાના કમિશનરશ્રીએ જણાવ્યું છે કે, જી.યુ.ડી.સી. ગાંધીનગર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં જે ખોદકામ કરવામાં આવ્યું છે તેનું યોગ્ય પુરાણ ના કરવાથી શહેરીજનોને હાલમાં તકલીફોનો સામનો કરવો પડી રહયો છે, જેને ધ્યાને લઈ હાલમાં આણંદ મહાનગરપાલિકા દ્વારા ગ્રેન્યુલર સબ બેઇઝ મટીરીયલ અને સ્યુટેબલ મટીરીયલ નાખીને મોટરેબલ રોડ રસ્તા બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, તથા આગામી દિવસોમાં જી.યુ.ડી.સી. દ્વારા પાણીની પાઇપલાઇન નાખવા અને ડ્રેનેજ લાઈનની કામગીરી સબબ ખોદવામાં આવેલ રસ્તાઓનું યોગ્ય રીતે પુરાણ થયા બાદ મહાનગરપાલિકાના તમામ વિસ્તારોમાં નવા રોડ રસ્તા યુદ્ધના ધોરણે બનાવવામાં આવશે.