આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિના લોકોને ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ રૂપિયા ૧.૭૦ લાખની સહાય મળશે
Publish Date : 13/11/2025
આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવા અનુરોધ
આણંદ, ગુરૂવાર: રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના લોકોને ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ આવાસ પૂરા પાડવામાં આવે છે.
આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને વર્ષ 2025 – 26 દરમિયાન આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવ્યું છે.
અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા હેઠળ જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ રૂપે તબક્કાવાર આવાસ પુરા પાડવાનો રાજ્ય સરકારનો હેતુ છે.
અનુસૂચિત જાતિના જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું, ઘાસ માટીનું, ઘાસપુડા નું, કુબા ટાઈપનું મકાન જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાન માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે પણ રૂપિયા ૧.૭૦ લાખની સહાય ચાર હપ્તામાં મળવા પાત્ર છે.
આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના લોકો ચાલુ વર્ષ દરમિયાન ડો. આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેમણે https://esamajkalyan.gujarat.gov.in ઉપર ઓનલાઇન ફોર્મ ભરવા જણાવવામાં આવ્યુ છે.
આ પોર્ટલ ઉપર જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવેલ છે. જે મુજબ સાધનિક કાગળો અરજદારોએ ઓનલાઇન સબમીટ કરવાના રહેશે, તથા વધુ જાણકારી માટે કચેરીનો ફોન નંબર ૦૨૬૯૨- ૨૬૪૨૬૨ ઉપર સંપર્ક કરવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા પંચાયત, આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.