આણંદ ખાતેની આંગણવાડી કેન્દ્રોમાં બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘બાલક-પાલક સર્જન કાર્યક્રમ’ યોજાયો
Publish Date : 21/05/2026
આંગણવાડી કેન્દ્રોમાં કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વાલીઓને માહિતગાર કરાયા
આણંદ, બુધવાર, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ આણંદ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રત્યે જાગૃતિ તથા વાલીઓની સક્રિય સહભાગિતા વધારવાના હેતુસર આણંદ ખાતેની આંગણવાડી કેન્દ્ર ખાતે “બાલક-પાલક સર્જન કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રોગ્રામ ઓફિસર શ્રી તેજલબેન ગોસ્વામીની રાહબરી હેઠળ આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત આણંદ શહેરના આંગણવાડી કેન્દ્ર ખાતે “બાલક-પાલક સર્જન કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ માતા-પિતાને બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ, આરોગ્ય અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જાગૃત કરવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન બાળકો માટે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, રમતો અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. વાલીઓને બાળકો સાથે સકારાત્મક વ્યવહાર, સ્વચ્છતા અને પૌષ્ટિક આહાર અંગે, બાળકોના પ્રારંભિક શિક્ષણનું મહત્વ, બાળ વિકાસમાં વાલીઓની મહત્વપૂર્ણ ભૂમિકા તેમજ આંગણવાડી કેન્દ્રો દ્વારા ઉપલબ્ધ કરાતી વિવિધ સેવાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કેન્દ્રો ખાતે વધુમાં વધુ બાળકોનું નામાંકન થાય, બાળકો નિયમિત રીતે આંગણવાડી કેન્દ્રો સાથે સંકળાયેલા રહે તથા શિક્ષણ પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો વ્યાપ વધે તે માટે પ્રેરણાત્મક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો તથા વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દ્વારા વાલી અને બાળક વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સહકાર મળે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

આણંદ ખાતેની આંગણવાડી કેન્દ્રોમાં બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘બાલક-પાલક સર્જન કાર્યક્રમ’ યોજાયો

આણંદ ખાતેની આંગણવાડી કેન્દ્રોમાં બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘બાલક-પાલક સર્જન કાર્યક્રમ’ યોજાયો