આણંદમાં ૧૪મી ઓગસ્ટે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન: રાષ્ટ્રભક્તિના રંગે રંગાશે ચરોતર
Publish Date : 11/08/2026
વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનથી ટાઉનહોલ સુધી યોજાશે ભવ્ય તિરંગા યાત્રા, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નગરજનોને જોડાવા આહ્વાન
આણંદ, સોમવાર, ૧૫મી ઓગસ્ટ, સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિસભર ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તારીખ ૧૪મી ઓગસ્ટ, શુક્રવારના રોજ જિલ્લા કક્ષાની એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપ્રેમની ભાવનાને સુદ્રઢ કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાનારી આ વિશાળ તિરંગા યાત્રા સવારે ૧૦:૦૦ કલાકે વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતેથી પ્રસ્થાન થઈ આ તિરંગા યાત્રા વિદ્યાનગર રોડ પર થઈને પસાર થશે અને શહેરના ટાઉનહોલ ખાતે સંપન્ન થશે.
સ્વાતંત્ર્ય પર્વના અનુસંધાનમાં યોજાનારી આ તિરંગા રેલીને પગલે સમગ્ર આણંદ જિલ્લો રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાઈ જશે. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ સહિત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને મહાનગરપાલિકાના મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી તથા વિવિધ પદાધિકારીઓ પણ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના અનુસંધાનમાં યોજાનારા કાર્યક્રમમાં સહભાગી થઈ ઉત્સાહમાં વધારો કરશે.
આ તિરંગા યાત્રા નું આયોજન જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ યાત્રામાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે.જી. જસાણી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે. આણંદની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના હજારો વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઈને આ રેલીની શોભા વધારશે, જે નવી પેઢીમાં દેશપ્રેમનું સિંચન કરવાનું માધ્યમ બનશે.
આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વિશાળ તિરંગા યાત્રામાં સહભાગી થવા માટે જિલ્લાના તમામ નગરજનોને હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે.
આણંદ જિલ્લાના તમામ તાલુકા મથકો ખાતે પણ તિરંગા યાત્રા યોજવામાં આવનાર છે.