અમદાવાદ વિમાન દુર્ઘટના
Publish Date : 16/06/2025
આણંદ જિલ્લાના મૃતકોના પાર્થિવ દેહને અનિવાર્ય કારણોસર કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાશે.
આણંદ જિલ્લામાં ૧૦ જેટલી હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજ ની સુવિધા ઉપલબ્ધ : સિવિલ સર્જનશ્રી ડૉ.અમર પંડ્યા.
આણંદ,શનિવાર: અમદાવાદ ખાતે તાજેતરમાં બનેલ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. જેના મૃતકોની ઓળખ માટે તેમના સ્વજનોના ડી.એન.એ ટેસ્ટ કરીને ઓળખ કરવામાં આવી રહી છે.
ઘણા મૃતકોના પરિવારજનો વિદેશમાં વસવાટ કરતા હોવાથી તેઓ અંતિમ સંસ્કાર માટે વિદેશથી આણંદ ખાતે આવે ત્યાં સુધી મૃતકના મૃતદેહ ને સાચવવા માટે પણ અલાયદી વ્યવસ્થા જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઊભી કરવામાં આવી છે.
જે અન્વયે આણંદ જનરલ હોસ્પિટલ ના સિવિલ સર્જન શ્રી ડૉ. અમર પંડ્યાના જણાવ્યા મુજબ જિલ્લામાં ૧૦ હોસ્પિટલ ખાતે મૃતદેહ સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા છે. જેમાં જેમાં જનરલ હોસ્પિટલ- આણંદ, એસ. એસ. હોસ્પિટલ- પેટલાદ, શ્રી કૃષ્ણ હોસ્પિટલ – કરમસદ, ઝાયડસ હોસ્પિટલ- આણંદ, સુણાવ હોસ્પિટલ- સુણાવ, જનરલ હોસ્પિટલ- ખંભાત, નગરપાલિકા- બોરસદ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર – વાસદ, જલારામ જન સેવા ટ્રસ્ટ- ધર્મજ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર- સારસા વગેરે જેવી ૧૦ હોસ્પિટલોમાં મૃતદેહો રાખવા માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ઉપલબ્ધ છે, તેમ જણાવ્યું છે.