અમદાવાદ ખાતે થયેલ વિમાન દુર્ઘટના
Publish Date : 16/06/2025
આણંદ જિલ્લાના મૃત્યુ પામેલ પ્રવાસીઓની સ્મશાન યાત્રા અને અંતિમ વિધિમાં હાજર રહી પરિવારજનોને સહાય પૂરી પાડશે જે તે તાલુકાના અધિકારીઓ.
આણંદ જિલ્લાના મૃતદેહોને અમદાવાદ ખાતેથી સ્વ ગૃહે પરત આવ્યા બાદ અંતિમ સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધી તમામ સુવિધાઓ પરિવારજનોને પૂરી પાડવાની રહેશે: જિલ્લા કલેકટરશ્રી.
આણંદ, શુક્રવાર: અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના પ્રવાસીઓના પરીવારજનોનો સંપર્ક કરી મૃતદેહોની ઓળખ માટે ડી.એન.એ ટેસ્ટને લગતી કામગીરી કરાઈ રહી છે.
જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ આ વેળાએ સંવેદના દાખવતા તાલુકાના અધિકારીઓને મૃતકોના અંતિમ સંસ્કાર સહિત અન્ય સુવિધા પૂરી પાડવા જણાવ્યું છે.
જે અન્વયે ડી.એન.એ ટેસ્ટ થયા બાદ મૃતદેહોની ઓળખ થયેથી મૃતદેહોને અમદાવાદ ખાતેથી સ્વ-ગૃહે પરત લાવવા માટે મૃતક વ્યક્તિઓના સ્વ-જનોના સંપર્કમાં રહી તેઓના અંતિમ સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધીની જરૂરી તમામ સુવિધાઓ પુરી પાડવાની તમામ કામગીરી પૂર્ણ કરવા જિલ્લાના તમામ તાલુકાઓના ઉચ્ચ અધિકારીઓને જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું છે.
વધુમાં તમામ તાલુકાના ઉચ્ચ અધિકારીશ્રીઓએ ખંભાત પ્રાંત અધિકારીશ્રી તથા આણંદના સ્ટેમ્પ ડયૂટી, નાયબ કલેકટરશ્રીના સંપર્કમાં રહીને સ્મશાનયાત્રા અને અંતિમવિધીમાં હાજર રહેવા તથા પરિવારજનો ને જરૂરી સહાય પૂરી પાડવા પણ જણાવવામાં આવ્યું છે.