અનુસુચિત જાતિના લોકોને ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ રૂપિયા ૧.૭૦ લાખની સહાય મળશે
Publish Date : 17/07/2025
વર્ષ-૨૦૨૫-‘૨૬ દરમિયાન આ યોજનાનો લાભ મેળવવા માંગતા અરજદારોએ https:/ esamajkalyan. gujarat.gov.in/ ઉપર અરજી કરવી.
આણંદ, બુધવાર: અનુસુચિત જાતિના લોકોને સરકારશ્રી દ્વારા ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ આવાસ પુરા પાડવામાં આવે છે, ત્યારે વર્ષ-૨૦૨૫-૨૬ દરમિયાન આ યોજનાનો લાભ લેવા આણંદ જિલ્લાનાં અનુસુચિત જાતિના લોકોને જિલ્લા પંચાયત, આણંદના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
અનુસુચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા હેઠળ જીવતા ઘર વિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસ પુરા પાડવાનો સરકારનો હેતુ છે.
જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતાં હોય, તદ્દન કાચું, ઘાસ માટીનું, ઘાસપુળાનું, કુબા ટાઈપનું મકાન જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાન માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે પણ રૂ.૧.૭૦ લાખની સહાય ચાર(૪) હપ્તામાં મળવાપાત્ર છે.
જે અન્વયે નાણાકીય વર્ષ-૨૦૨૫-‘૨૬ દરમિયાન આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેવા અરજદારોએ https:/ esamajkalyan. gujarat.gov.in/ ઉપર ઓનલાઇન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે.
આ પોર્ટલ ઉપર ઉપલબ્ધ માર્ગદર્શક સૂચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારોએ ઓનલાઈન સબમિટ કરવાના રહેશે, તેમ વધુમાં જણાવાયું છે.