તા.૧૪ નવેમ્બરના રોજ આણંદ ખાતે “આપકી પુંજી આપકા અધિકાર” કાર્યક્રમ યોજાશે
Publish Date : 11/11/2025
જિલ્લાની વિવિધ બેંકોમાં દાવો ન કરાયેલ રૂપિયા ૧૨૯ કરોડથી વધુ રકમ થાપણદારો પાછી મેળવી શકશે
આણંદ, મંગળવાર: ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા સમગ્ર દેશની બેંકમાં કોઈપણ પ્રકારના ક્લેમ થયા વગરની જે રકમ પડી રહી છે તે રકમ જે તે વ્યક્તિના વારસદારોને મળી રહે તે માટે “આપકી પુંજી આપકા અધિકાર” કાર્યક્રમ શરૂ કરવા જણાવ્યું છે.
આ કાર્યક્રમ અંતર્ગત આણંદના લીડ બેંક મેનેજર શ્રી જગદીશ પાટીલના જણાવ્યા મુજબ આણંદ જિલ્લાની વિવિધ ૨૪ જેટલી બેંકોમાં દાવો ન કરાયેલ ૧૨૯ કરોડથી વધુ રકમ થાપણદારોને તેમની રકમ પાછી મેળવવા માટે આગામી તા. ૧૪ મી નવેમ્બર, શુક્રવારના રોજ સવારે ૧૦-૦૦ કલાક થી બપોરના ૧૫-૦૦ કલાક સુધી ટાઉનહોલ આણંદ ખાતે કાર્યક્રમ યોજવામાં આવશે.
આ કાર્યક્રમમાં નાણાકીય સેવા વિભાગ ભારત સરકારના પ્રતિનિધિઓ, જિલ્લા પ્રતિનિધિ, ભારતીય રિઝર્વ બેંકના અધિકારીઓ, અન્ય વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ મહામેળાવડામાં જે લોકોના દાવા વગરના નાણાં બેંકમાં પડ્યા છે, તેવા તમામ થાપણદારોને અને તેમના વારસદારોને ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમથી દેશભરમાં ૧ ઓક્ટોબર ૨૦૨૫ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના સમયગાળા દરમિયાન એક વિશેષ જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશમાં છેલ્લા ૧૦ વર્ષથી વ્યવહાર ન થયેલા ખાતાઓમાં જમા રકમ ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ (DEAF) માં સ્થાનાંતરિત કરવામાં આવેલી છે. ઘણા લોકો અજ્ઞાનતાને કારણે અથવા મૃત વ્યક્તિના નાણાં પાછા મેળવવા માટે પ્રયત્ન કરતા નથી. પરિણામે, તેમના નાણાં ભારતીય રિઝર્વ બેંકના DEAF ફંડમાં જમા થઈ જાય છે.
આ મેળાવડામાં, જે થાપણદારોએ યોગ્ય દાવો કર્યો છે અને યોગ્ય કાગળપત્રો સંબંધિત બેંકમાં જમા કરાવ્યા છે, તેવા તમામ થાપણદારો તેમની રકમ પાછી મેળવી શકે છે અથવા તેમના વારસદાર તે રકમ મેળવી શકે છે.
આ કાર્યક્રમનો લાભ લેવા માટે આણંદ જિલ્લાના થાપણદારો અને તેમના વારસોને આણંદ જિલ્લાના બેંક ઓફ બરોડાના લીડ બેંક મેનેજર શ્રી ડૉ જગદીશ પાટિલ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.