અમદાવાદ વિમાન દુર્ઘટના
Publish Date : 16/06/2025
આણંદના તાલુકાના મૃતકોનો નશ્વર દેહ તેમના પરિજનોને સોંપાયો
સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓએ પુષ્પાંજલિ આપીને પરિવારજનોને આપી સાંત્વના
આણંદ, સોમવાર: અમદાવાદ ખાતે ગત દિવસોમાં થયેલી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોના પરિજનોના DNA સેમ્પલ મેચ થયા બાદ નશ્વર દેહને સોંપવાની કામગીરી ચાલી રહી છે.
આ દુર્ઘટનામાં આણંદ જિલ્લાના મૃતકોના પાર્થિવ દેહની ઓળખ થતા આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી તેમના પરિજનોને સોંપવામાં આવ્યા હતા.જે અંતર્ગત આણંદ તાલુકાના ખંભોળજ ગામના રહેવાસી અને પ્લેન ક્રેશ દુર્ઘટનાના ૨૫ વર્ષીય યુવાન મૃતક આકાશ પુરોહિતનો મૃતદેહ તેમના સ્વજનોને સોંપાયો હતો.આ ઉપરાંત ભાલેજ રોડ પર આવેલ ઉત્સવ પાર્કના રહેવાસી કિનલબહેન મિસ્ત્રીનો મૃતદેહ પણ તેમના સ્વજનોને સ્વમાનભેર સોંપવામાં આવ્યા છે.
આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ મૃતક આકાશ પુરોહિતના નશ્વર દેહને પુષ્પાંજલિ આપીને તેમના સ્વજનોને સાંત્વના આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટી તંત્રએ કરેલી વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે નિયુક્ત અધિકારીઓ મૃતકના સ્વજનો સાથે મૃતદેહ લેવા માટે ગયા હતા.પ્રત્યેક પાર્થિવ દેહને લાવવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ, પોલીસની બે ગાડી તેમજ મૃતકના સ્વજનો માટે એક અલાયદી ગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
DNA સેમ્પલિંગની પ્રક્રિયાથી લઈને પાર્થિવ દેહ સોંપવાની અને અંતિમ સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધીની તમામ ક્રિયાઓમાં જિલ્લા વહીવટી તંત્રના નિયુક્ત અધિકારીઓ મૃતકોના પરિજનોના પડખે સહાનુભૂતિપૂર્વક ખડે પગે રહ્યા હતા.
આ સમયે પ્રસંગે જિલ્લા પદાધિકારીઓ તથા અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
