અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતક આણંદના કિંજલબેન સુરેશકુમાર મિસ્ત્રીનો નશ્વર દેહ તેમના પરિજનોને સોંપાયો
Publish Date : 16/06/2025
સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓએ પરિવારજનોને આપી સાંત્વના.
પ્રાંત અધિકારી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સહિતના અધિકારીઓ રહ્યાં ઉપસ્થિત.
આણંદ, સોમવાર: અમદાવાદ ખાતે ગત દિવસોમાં થયેલી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોના પરિજનોના DNA સેમ્પલ મેચ થયા બાદ નશ્વર દેહને સોંપવાની કામગીરી ચાલી રહી છે. જે અન્વયે ૨૯, ઉત્સવ પાર્ક, ભાલેજ રોડ, આણંદના કિનલબેન સુરેશકુમાર મિસ્ત્રી નો મૃતદેહ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતેથી તેમના વતન આણંદ ખાતે લાવવામાં આવ્યો હતો, જેની અંતિમવિધિ આજે સવારે કરવામાં આવી હતી.
DNA સેમ્પલિંગની પ્રક્રિયાથી લઈને પાર્થિવ દેહ સોંપવાની અને અંતિમ સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધીની તમામ ક્રિયાઓમાં જિલ્લા વહીવટી તંત્રના નિયુક્ત અધિકારીઓ મૃતકના પરિજનો સાથે સહાનુભૂતિપૂર્વક સાથે રહ્યા હતા.
આ વેળાએ સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને અગ્રણી શ્રી સુનિલ શાહે પાર્થિવ દેહ ઉપર ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આણંદના પ્રાંત અધિકારી શ્રી મયુરભાઈ પરમાર, નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન.પંચાલ, ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી ઝાલા પણ ઉપસ્થિત રહીને પરિવારજનોના દુઃખમાં સહભાગી થયા હતા.
પ્રત્યેક પાર્થિવ દેહને લાવવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ, પોલીસની બે ગાડી તેમજ મૃતકના સ્વજનો માટે એક અલાયદી ગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પાર્થિવ દેહની સાથે જ મૃતકના સ્વજનને પોસ્ટમોર્ટમ રિપોર્ટ, મૃત્યુ પ્રમાણપત્ર તેમજ અન્ય કાયદાકીય કાર્યવાહી માટેના જરૂરી તમામ દસ્તાવેજો એક ફાઈલમાં તૈયાર કરીને હોસ્પિટલ તંત્ર દ્વારા સુપરત કરવામાં આવ્યા હતા.
મૃતદેહોની ઓળખ થયેથી પાર્થિવ દેહને સ્વ-ગૃહે પરત લાવવાની અને ત્યારબાદ અંતિમ સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધી કરવામાં આવેલી સંવેદનશીલ વ્યવસ્થાથી મૃતકોના સ્વજનોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
આ સમયે અધિકારીઓ તથા પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતક આણંદના કિંજલબેન સુરેશકુમાર મિસ્ત્રીનો નશ્વર દેહ તેમના પરિજનોને સોંપાયો
