“૭ એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ” : સ્વસ્થ શરૂઆત – આશાસ્પદ ભવિષ્ય
પ્રકાશિત તારીખ : 08/04/2025
આણંદ,સોમવાર: World Health Day વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા 7 એપ્રિલના દિવસને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને પોતાના સ્વસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે. આજે વિશ્વ ચિકિત્સાના ક્ષેત્રમાં ઘણું આગળ વધી ગયું છે, પરંતુ બીજી બાજુ લોકોની ફાસ્ટ બનતી જતી જીવનશૈલીને કારણે બીમારીઓ પણ વધી રહી છે. સ્વાસ્થ્યને લઇને આજે વ્યક્તિએ પોતે વધુ જાગૃત થવાની જરૂર છે.
“વિશ્વ આરોગ્ય દિન” ની ઉજવણીનો ઇતિહાસ જોઇએ તો, ઇ.સ.1948માં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાએ નક્કી કર્યા મુજબ દુનિયાના લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 7મી એપ્રિલના દિવસે વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે. આ માટે પ્રતિ વર્ષ એ સૂત્ર અથવા થીમ નિયત કરવામાં આવે છે. અત્યાર સુધી શહેરીકરણ, પર્યાવરણ પરિવર્તન, માર્ગ સલામતી, પોલીયો નાબૂદી, ચેપી રોગો સામે રક્ષણ, માતૃત્વવગેરે વિષયોને કેન્દ્રસ્થાને રાખીને તે અંગેની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી છે. નવા અને ઉભરતા આરોગ્ય પ્રશ્નો સામે લોકજાગૃતિ કેળવવા અંગેના કાર્યક્રમો આ દિવસે યોજવામાં આવે છે. અને તેની વૈશ્વિક અસરો અંગે લોકોને માહિતગાર કરવામાં આવે છે. આજે વિશ્વ ચિકિત્સાના ક્ષેત્રમાં ઘણું આગળ વધી ગયું છે, પણ બીજી તરફ લોકોની કથળતી જતી જીવનશૈલીને કારણે બીમારીઓ પણ વધી રહી છે. સ્વાસ્થ્યને લઇને આજે વ્યક્તિએ પોતે વધુ જાગૃત થવાની જરૂર છે. આવો, વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિતે આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં અને સમગ્ર જીવન દરમિયાન આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે કેટલાંક સંકલ્પ કરીએ જેથી આરોગ્ય સુખમય બને.
સંતુલિત આહાર: વ્યસ્ત બનતી જતી જીવનશૈલીને કારણે આ નિયમ જાળવવો લોકો માટે દિવસેને દિવસે અઘરો બનતો જઈ રહ્યો છે. પણ થોડો સમય ફાળવીને, ધ્યાન દઇને જો સંતુલિત આહારનું સેવન કરશો તો તમારા શરીરને તમે અનેક બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડશો. કારણ કે તમારો આહાર જ તમારા સ્વાસ્થ્યનું નિર્માણ કરે છે.
વ્યાયામ અપનાવો: આજે તણાવ અને ભાગદોડથી ભરેલું જીવન તો બહુ સામાન્ય બની ગયું છે. આ સમસ્યાઓથી બચવા વ્યાયામ કરો અને ફિટ રહો.
સમયસર તપાસ કરાવો: બીમારીઓથી બચવું હોય તો કોઇપણ બીમારીમાં ચિકિત્સા કરાવવામાં વિલંબ કે આળસ ન કરશો. સમયસર તપાસ કરાવી યોગ્ય દિશામાં દવા લેવાનું શરૂ કરજો.
તણાવમુક્તિ: તણાવમુક્ત થઇને તમે તમારા તમામ કાર્યો સરળતાથી અને સમયસર કરી શકો છો. માટે તણાવમુક્ત થવાનો પ્રયાસ કરો.
પૂરતી ઊંઘ: તણાવમુક્ત રહેવા માટે પૂરતી ઊંઘ પણ એટલી જ જરૂરી છે. સમયસર ઊંઘવાની અને ‘સમયસર જાગવાની ટેવ પાડો.
જોકે, બીમારી કોઇને પણ, ગમે ત્યારે થઇ શકે છે. માટે તેનાથી બચવાના દરેક સંભંવ પ્રયાસો કરતા રહો. આ માટે ઉપરની ખાસ ટેવો અપનાવી આજીવન સ્વસ્થ-તંદુરસ્ત રહી શકશો .