પેટલાદ પશુ દવાખાનમાં કરાઈ માદા શ્વાનના ચેપગ્રસ્ત ગર્ભાશયની સફળ સર્જરી
પ્રકાશિત તારીખ : 09/06/2025
આણંદ, સોમવાર: રાજ્ય સરકાર દ્વારા પશુ આરોગ્ય મેળાઓ અને પશુ દવાખાનાના માધ્યમથી અબોલ પશુઓના આરોગ્યની ચિંતા કરવામાં આવી રહી છે. પશુ આરોગ્ય મેળાઓ દ્વારા ગામે ગામ જઈને પશુઓની આરોગ્ય તપાસણી, સારવાર અને રસીકરણનું કાર્ય કરવામાં આવી રહયું છે. જ્યારે પશુ દવાખાનાઓના માધ્યમથી પશુઓની આરોગ્યલક્ષી સઘન સારવાર અને ઓપરેશનો થકી અબોલ પશુઓને જીવતદાન આપવામાં આવી રહયું છે. આવું જ જીવદયાનું એક કાર્ય પેટલાદના પશુ દવાખાનાના પશુચિકિત્સા અધિકારી અને કર્મયોગીઓએ કરીને ૭ વર્ષની એક માદા શ્વાનના ગર્ભાશયનુ ઓપરેશન કરી તેને નવજીવન આપ્યું છે.
આ માદા શ્વાનને લગભગ ૧૫ દિવસથી ગર્ભાશયમાં ચેપ લાગેલ હતો. જેના કારણે ગર્ભાશયમાં રસી થઇ ગઈ હતી. આણંદ ખાતે રહેતા આ પશુના માલીક શ્રી હર્ષ મુકેશ બિલોદિયા લગભગ છેલ્લા ૧૫ દિવસથી આ માદા શ્વાનની સારવાર માટે જહેમત ઉઠાવતા હતા. પરંતુ તેનું કોઈ પરિણામ ના આવતાં અંતે શ્વાનના માલીક તેને પેટલાદ સ્થિત પશુ દવાખાનામાં સારવાર માટે લઈને આવ્યા
પેટલાદ પશુ દવાખાનામાં આ માદા શ્વાનની સોનોગ્રાફી કરવામાં આવી સોનોગ્રાફી દરમ્યાન માદા શ્વાનને પાયોમેટ્રા (ગર્ભાશયમાં) નામનો રોગ હોવાનું નિદાન થયુ હતું. જેની ઉપર પેટલાદ પશુ દવાખાના ખાતે હીસ્ટેરેક્ટોમી ઓપરેશન કરીને ચેપગ્રસ્ત ગર્ભાશય દૂર કરવામાં આવ્યુ હતું.
આ ઓપરેશન પેટલાદના પશુચિકિત્સા અધિકારી ડૉ. બી. બી. પટેલ, ભુરાકુઇના પશુ ચિકિત્સા અધિકારી ડૉ. નિરાલી મારવણીયા, બામરોલીના પશુ ચિકિત્સા અધિકારી ડૉ. નિકિતા જે. પટેલ સહિત પેટલાદના પશુ દવાખાનાની કર્મયોગીઓની ટીમ દ્વારા કરવામાં આવેલ હતુ.
