તા.૨૫ સપ્ટેમ્બર ના રોજ બોરસદ તાલુકાના કઠાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાશે આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પ
પ્રકાશિત તારીખ : 24/09/2025
આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ તા.૧૭ સપ્ટેમ્બરથી તારીખ ૦૨ ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે.
સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આયુષ્માન આરોગ્ય મંદિર તથા શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા જણાવાયું છે.
આ કાર્યક્રમ અંતર્ગત તા.૨૫ સપ્ટેમ્બર, ગુરૂવારના રોજ બોરસદ તાલુકાના કઠાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પ યોજાશે.
આ કેમ્પમાં ફિઝિશિયન, સ્ત્રી રોગ નિષ્ણાત, બાળ રોગ નિષ્ણાત, જનરલ સર્જન, ડેન્ટલ સર્જન, આંખના સર્જન હાજર રહી સેવાઓ આપશે. જેમાં સગર્ભા માતા, ધાત્રી માતા, કિશોર, કિશોરીઓ તથા ૩૦ વર્ષથી ઉપરના તમામના બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કેન્સર, ટીબી, સિક્સ સેલ, એનિમિયા તથા કુપોષિત બાળકોની તપાસ કરવામાં આવશે, આ નિદાન કેમ્પ અને આરોગ્ય શિબિરનો લાભ લેવા ગ્રામજનોને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.