કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં નવરાત્રી આયોજક દ્વારા કરેલ આયોજનમાં જાહેર સલામતી અર્થે ફાયર સેફટીની માર્ગદર્શિકા જાહેર કરાઈ
પ્રકાશિત તારીખ : 19/09/2025
નવરાત્રી સંચાલકોએ સરકારશ્રીની વેબસાઈટ https://gujfiresafetycop.in/ પર અરજી કરી ફાયર NOC મેળવવાનું રહેશે
આગ અસ્માતનાં કેસમાં ફાયર વિભાગનાં નંબર ૧૦૧/૦૨૬૯૨-૨૪૩૧૦૧ નંબર ઉપર તાકીદે સંપર્ક કરવા અનુરોધ
આણંદ, ગુરૂવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા નવરાત્રીમાં આયોજક દ્વારા કરવામાં આવેલ આયોજનમાં જાહેર સલામતી અર્થે ફાયર સેફટીની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે તે મુજબ મનપા વિસ્તારમાં નવરાત્રી આયોજક દ્વારા કોઈપણ મંડપ, પંડાલ કે ટેમ્પરી સ્ટ્રકચરનું સ્ટેજ બનાવે ત્યારે સ્કુલ, હોસ્પિટલ, જ્વલનશીલ પદાર્થના ગોડાઉન ઈત્યાદીથી દુર નિર્માણ કરવાનું રહેશે. આ માટે મંડપમાં ફાયરનાં વાહનો આવી શકે તે મુજબ રોડ, રસ્તા ખુલ્લા રાખવાનાં રહેશે તથા અવરોધક વસ્તુઓ દુર કરવાની રહેશે. નવરાત્રી આયોજક દ્વારા કોઈપણ મંડપ કોઈપણ પ્રકારની ભઠ્ઠી, ઈલેકટ્રીક સબ સ્ટેશન, ઈલે. ટ્રાન્સફરમર, ઈલે, સબ. સ્ટેશન, ઈલે. હાઈટેન્શન લાઈન કે રેલ્વે લાઈનથી દુર કરવાનાં રહેશે. બે સ્ટ્રક્ચર વચ્ચે ૦૨ મીટરથી ઓછુ અંતર હોવું જોઈ નહિ.
આયોજક દ્વારા કોઈપણ સ્ટ્રકચરની અંદર કોઈપણ પ્રકારનાં સ્ટોલ બનાવવાનાં રહેશે નહી તથા આ સ્ટ્રકચરનાં સ્ટેજની નજીક કે સ્ટેજનાં નીચેના ભાગમાં આગ લાગી શકે તેવા કોઈપણ પ્રકારનાં ઘન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરવાનો રહેશે નહી. પંડાલની કેપેસીટી મુજબના વ્યક્તિઓને પ્રવેશ આપવાનો રહેશે. વ્યક્તિદીઠ ઓછામાં ઓછી ૧ સ્ક્વે મી. જગ્યા રહે તે મુજબ પ્રવેશ આપવાનો રહેશે. નવરાત્રીના પંડાલમાં ફીક્સ પાર્ટેશન કરવાનું રહેશે નહીં. ઈમરજન્સીના સમયે વ્યકિતઓ સહેલાઈથી ઈમરજન્સી એક્ઝીટ તરફ જઈ શકે તે મુજબ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે.
નવરાત્રી આયોજક દ્વારા પંડાલમાં દૈનિક કેટલા વ્યકિતઓ દર્શકો ખેલૈયાઓ પ્રવેશે છે તેનો સંપૂર્ણ દસ્તાવેજી રેકોર્ડ રાખવાનો રહેશે. નવરાત્રી આયોજક દ્વારા ઓછામાં ઓછા બે “Emergency Exit” રાખવાના રહેશે જે પરસ્પર વિરુદ્ધ દીશામાં હોવા જોઈએ. ગેટની સામેના ભાગે ૦૫ મી.ઓપનીંગ હોય તે મુજબનું રાખવાનું રહેશે. નવરાત્રી આયોજક દ્વારા સ્ટ્રક્ચરની અંદર તથા બહાર સરળતાથી વાંચી શકાય તે મુજબ અચુક ઓટો ગ્લોવ મટીરીયલમાં સાઈન લગાવવા-“NO SMOKING ZONE”, “EXIT”, “Emergency Exit”, નવરાત્રી આયોજક દ્વારા સીટીગ વ્યવસ્થાથી બહાર નીકળવાનો રસ્તો (Traveling Distance) ૧૫મી. થી વધારે ન હોવું જોઈએ.
નવરાત્રી આયોજક દ્વારા કરવામાં આવેલ સીટીંગ વ્યવસ્થામાં સીટની ૧૦ રો અને ૧૦ બેઠક પછી પેસેજ આપવામા આવેલ હોવો જોઈએ જેની પહોળાઈ ઓછામાં ઓછી ૧.૫ મી. હોવી જોઈએ. આયોજક દ્વારા કોઈપણ મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરનું સ્ટેજ બનાવે કે તેના પડદા અને કાર્પેટને ફાયર રીટાર્ડન્ટ પેઈન્ટ કરાવવા વધુમાં જમીન ઉપર બિછાવવા જો કાર્પેટ પણ આગ અકસ્માતથી સુરિક્ષત રહે તે મુજબ રાખવાના રહેશે. આયોજકો દ્વારા મંડપમાં કરવામાં આવતા ઈલેક્ટ્રીક વાયરીંગ પ્રવર્તમાન વીજળી અધિનિયમ મુજબના કરાવવાના રહેશે તથા મંડપમાં કરવામાં આવેલ તમામ ઈલેક્ટ્રીક વાયરીંગ અંગે ગવર્નમેન્ટ એપ્રુવડ ઈલેક્ટ્રીક ઈજનેરશ્રી પાસે ચકાસણી કરાવવાની રહેશે ઈલેક્ટ્રીક વીજ ઉપકરણોનું ઈન્સ્ટોલેશન IS-1646-1982 મુજબ કરવાનું રહેશે.
પંડાલમાં કરવામાં આવનાર વાયરીંગ પીવીસી આવરણ વાળા કંડક્ટર અથવા ટફ રબર વલ્કેનાઈઝેશન કરેલા હોવા જોઈએ. વાયરીંગના તમામ જોઈન્ટ પોર્સેલેઈન ઇન્સ્યુલેટેડ કનેક્ટર્સથી કરવાના રહેશે. આયોજકો દ્વારા ડિઝલ જનરેટર સ્ટેજ અને અન્ય પંડાલથી દુરના અંતરે રાખવાનું રહેશે.
આયોજકો દ્વાર ઈલેક્ટ્રીકનું મુખ્ય સ્વીચ બોર્ડ એ.સી. અથવા જી.આઈ. માં બનાવવામાં આવેલ હોવું જોઈએ તથા આવા હંગામી મંડપથી દુરના અંતરે ઈલેક્ટ્રીક જંકશન બોર્ડ પાઈલોટીંગ લાઈટ સાથે ઉપબ્ધ કરાવવાના રહેશે.
સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રીક લાઈટીંગ, બલ્બ કે ટ્યુબલાઈટ કે તેના કોઈ પાર્ટ્સ કે મંડપના કોઈ ભાગ કે શુશોભન અથવા સળગી ઉઠે તેવી જ્વલનશીલ સામગ્રીથી ઓછામાં ઓછા ૧૫ સે.મી.ના અંતરે રાખવાના રહેશે. સંચાલકો દ્વારા આવા પંડાલમાં કે પંડાલની બહાર સળગી ઉઠે તેવી જ્વલનશીલ સામગી કે પદાર્થ, પ્રવાહી રાખવાના રહેશે નહીં તથા ફટાકડાનો ઉપયોગ કે સંગ્રહ કરવાનો રહેશે નહીં. સંચાલકો દ્વારા આવા પંડાલમાં કે પંડાલની બહાર ફાયર ક્રેકર્સ કે રસોઈ બનાવવાની સામગ્રી, ધુમ્રપાનના સાધનો કે આગ લાગી શકે તેવા કોઈ પ્રદાર્થ કે જ્યોત ઈત્યાદી રાખવાની રહેશે નહી.
મોશન ફિલ્મ બતાવવા માટે સ્ક્રીન બનાવવામાં આવેલ હોય તો ફરજીયાત તેમાં સેફટી ફિલ્મ અચુક પ્રદર્શિત કરવાની રહેશે.
સંચાલકો દ્વારા ધાર્મિક હેતુ માટે કરવામાં આવતા હવન, નાના હવન કુંડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પુરતી ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરવાની તથા આવી જગ્યાની છત ઉપર સી-આઈ/જી.આઈ સીટ ૬ સે.મી. કરતા ઓછી ન હોય તે મુજબની રાખવાની રહેશે. સંચાલકો દ્વારા મંડપમાં માતાજીની મુર્તિ પાસે રાખવામા આવતા દીવા નીચે રેતી અચુક રાખવાની રહેશે અને મંડપના સંચાલન અર્થે ઓછામાં ઓછાએક સ્વયંમ સેવક રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ રાખવાના રહેશે. સંચાલકો દ્વારા મંડપમાં આગ અકસ્માતની સલામતી અર્થે માતાજીના ઉત્સવના તમામ સમયગાળા દરમ્યાન ફાયર એક્ષટીંગ્યુશરના ઉપયોગ કરનાર જાણકાર પ્રશિક્ષિત વ્યકિતઓને અચુક રાઉન્ડ ધ ક્લોક રાખવાના રહેશે.
સંચાલકો દ્વારા મંડપમાં આવતી જનમેદનીને સુચના આપવા અચુક પબ્લીક એડ્રેસ સિસ્ટમ રાખવાની રહેશે. પંડાલમાં આગ સલામતી અર્થે પાણીનો પુરવઠો ફ્લોર એરિયાના ૦.૭૫ લી/સ્કવેર મીટર (SQ.M) કરતા ઓછો હોવી જોઈએ નહીં તથા પાણીનો પુરવઠો ડૂમ/બકેટમાં સુવ્યવસ્થિત ઝડપથી ઉપયોગમાં લઈ શકાય તે મુજબ ગોઠવણી કરવાની રહેશે.
સંચાલકો દ્વારા પ્રત્યેક ૧૦૦ ચો.મી. વિસ્તારને ધ્યાને લેતા તેઓના મંડપમાં માતાજી ઉત્સવના તમામ સમયગાળા દરમ્યાન ૦૨ નંગ ABC ફાયર એક્ષટીંગ્યુશર ૦૬ કી.ગ્રા.ની ક્ષમતાના તથા ૦૨ નંગ CO2 ફાયર એક્ષટીંગ્યુશર ૪.૫ કી.ગ્રા.ની ક્ષમતાના અને ૨૦૦લી. પાણી ભરીને ડ્રમ ઢાંકીને રાખવા તથા રેતી ભરેલી ૨ બાલટી અચુક આ મંડપ પ્રીમાઈસીસમાં ઉપલબ્ધ કરવાના રહેશે
ફાયર વિભાગ સિવાયના અન્ય ઓથોરિટી જેવી કે પોલિસ વિભાગ, ટ્રાફિક વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય વિભાગો પૈકી આપવામાં આવતી સુચનાઓનું પાલન તથા અમલવારી કરી અલગથી લાગત વિભાગના ના-વાંધા પ્રમાણપત્ર મેળવી લેવાના રહેશે. સંચાલકો દ્વારા ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એક્ટ રૂલ્સ અને રેગ્યુલેશન તેમજ વખતો વખતના સુધારા નેશનલ બીલ્ડીંગ પાર્ટ – ૪, IS – ૮૭૫૮ મુજબની જોગવાઈ ઉપલબ્ધ કરાવવાનું સેલ્ફ ડીકલેરેશન અચુક રજુ કરવાનું રહેશે.
આગ અસ્માતનાં કેસમાં તાકીદે ફાયર વિભાગનાં ૧૦૧/૦૨૬૯૨-૨૪૩૧૦૧ નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે. નવરાત્રી સંચાલકો ફાયર વિભાગ દ્વારા વખતો-વખત આપવામાં આવતી સૂચનાઓનું અચુક પાલન કરવાનું રહેશે. ફાયર વિભાગ આ સુચનોમાં જરૂરીયાત મુજબ વધારો ઘટાડો કરવાનો અબાધિત અધિકાર રાખે છે.
મનપા વિસ્તારના નવરાત્રી સંચાલકોએ સરકારશ્રીની વેબસાઈટ https://gujfiresafetycop.in/ પર અરજી કરી ફાયર NOC મેળવીને મનપાના ફાયર વિભાગમાં ફરજીયાત રજુ કરવાની રહેશે, તેમ કરમસદ આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે.