બંધ

૨૭-પાળજ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર સુમિત્રાબેન પટેલનો ૫૭૧૭ મતોથી વિજેતા જાહેર

પ્રકાશિત તારીખ : 30/07/2026

આણંદ જિલ્લામાં ૨૭-પાળજ બેઠકની મતગણતરી સંપન્ન, શાંતિપૂર્ણ વાતાવરણમાં પરિણામો જાહેર

આણંદ, ગુરુવાર, આણંદ જિલ્લાની ૨૭-પાળજ જિલ્લા પંચાયત બેઠક માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુમિત્રાબેન જયેશભાઈ પટેલે વિજય મેળવ્યો  છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અને ત્યારબાદ હાથ ધરવામાં આવેલી મતગણતરી અત્યંત શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં પૂર્ણ થઈ હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી ચુસ્ત વ્યવસ્થા વચ્ચે આજે સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી.

૨૭- પાળજ આણંદ જિલ્લા પંચાયત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ, ૨૭-પાળજ બેઠક પર ભાજપના ઉમેદવાર સુમિત્રાબેન જયેશભાઈ પટેલને કુલ ૧૦,૦૨૧ મત પ્રાપ્ત થયા છે. જ્યારે તેમના નજીકના પ્રતિસ્પર્ધી ઉમેદવાર જેસંગભાઈ મહીજીભાઈ પરમારને ૪,૩૦૪ મત મળ્યા હતા. આમ, સુમિત્રાબેન પટેલે ૫૭૧૭ મતોની સરસાઈથી વિજય હાંસલ કર્યો અન્ય ઉમેદવારોમાં અલ્પેશભાઈ જશુભાઈ પઢિયારને ૨૩૯ મત મળ્યા હતા, જ્યારે ૧૮૧ મતદારોએ ‘નોટા’ (NOTA) પર પસંદગી ઉતારી હતી.

પેટલાદ તાલુકા પંચાયત કચેરી ખાતે સમાવિષ્ટ ૨૭-પાળજ આણંદ જિલ્લા પંચાયત મતદાર વિભાગની આ ચૂંટણી પ્રક્રિયામાં કુલ ૧૪,૭૪૫ માન્ય મતો નોંધાયા હતા. પાંચ રાઉન્ડમાં હાથ ધરવામાં આવેલી આ મતગણતરીમાં તમામ પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત), આણંદની સીધી દેખરેખ હેઠળ આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. નોંધનીય છે કે, ટપાલ મતપત્રોમાં કોઈ મત નોંધાયા ન હતા અને તમામ ૧૪,૭૪૫ મતો ઈવીએમ મશીન દ્વારા માન્ય ગણવામાં આવ્યા હતા. કોઈપણ અનિચ્છનીય ઘટના વગર શાંતિપૂર્ણ માહોલમાં પરિણામ જાહેર કરવામાં આવ્યા છે.