સુણાવના મૃતકના પરિવારને ₹. ૨.૦૦ લાખની વીમાની રકમ અપાઈ
પ્રકાશિત તારીખ : 02/07/2025
પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના હેઠળ સહાયનો ચેક આપતા સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ.
આણંદ, મંગળવાર: પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના અંતર્ગત જે ૧૮ વર્ષથી વધુ ની વય ધરાવતા નાગરિક બેંકમાં પોતાનું ખાતું ધરાવે છે, અને વાર્ષિક રૂપિયા ૪૩૬/- નો પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અંતર્ગત વીમો લીધેલો હોય તેવા બેન્ક ધારક અકસ્માતમાં મૃત્યુ પામે અથવા અન્ય કોઈપણ રીતે મૃત્યુ પામે તો તેમના વારસદારને રૂપિયા ૨.૦૦ લાખની વીમા રકમ મળવા પાત્ર થાય છે. તેવી જ રીતે બેંકમાં ખાતું ધરાવનાર કોઈપણ ખાતાધારક વાર્ષિક પ્રીમિયમ માત્ર રૂપિયા ૨૦/- કપાવીને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત નો વીમો લઈ શકે છે, જેમાં માત્ર અકસ્માતથી મૃત્યુ થવાથી રૂપિયા ૨.૦૦ લાખની સહાય મળવા પાત્ર રહે છે, તેમ લીડ બેંક મેનેજર શ્રી જગદીશ પાટીલએ જણાવ્યું છે.
પેટલાદ તાલુકાના સુણાવ ગામ ખાતેની બેંક ઓફ બરોડામાં પોતાનું ખાતું ધરાવનાર શ્રી લક્ષ્મીબેન રાવળને અકસ્માત થવાથી તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમણે બેંક માં રૂપિયા ૪૩૬/- કપાવીને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અંતર્ગત વીમો લીધેલો હતો.
આ વાતની જાણકારી મળતા બેંક ઓફ બરોડા, સુણાવ બ્રાન્ચના મેનેજર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ક્લેમ મંજૂર કરાવીને તેમના પતિ શ્રી દિનેશભાઈ રતિભાઈ રાવળને સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ ના હસ્તે રૂપિયા ૨.૦૦ લાખનો ચેક આપવામાં આવ્યો હતો. આ સમયે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી હાજર રહ્યા હતા.
આણંદ જિલ્લાના લીડ બેંક મેનેજર શ્રી જગદીશ પાટીલે જિલ્લાના ૧૮ વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ બેંકમાં ખાતું ખોલાવે અને આ વીમા યોજનામાં જોડાય તે માટે તેમણે અપીલ કરી હતી, આ ઉપરાંત
બેંકમાં ખાતું છે તેવા દરેક વ્યક્તિ દ્વારા વાર્ષિક રૂપિયા ૪૩૬/- કપાવીને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અને માત્ર રૂપિયા ૨૦/- કપાવીને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત વીમો લેવામાં આવે તે જરૂરી છે. ખાતેદાર આકસ્મિક કોઈપણ રીતે મૃત્યુ પામે કે અકસ્માતમાં મૃત્યુના સમય પર વારસદારને રૂપિયા બે લાખની વીમા ની રકમ મળવા પાત્ર થાય છે.
