મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારનો શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણય, રાજ્યમાં નવી ૯૮ સરકારી શાળાઓ મંજૂર કરાઈ
પ્રકાશિત તારીખ : 01/06/2026
રાજ્યમાં વહીવટી અને શિક્ષણ સહાયકોની નવી જગ્યાઓ ઊભી કરવા બજેટમાં રૂ. ૪.૪૩ કરોડની જોગવાઈ કરાઈ
પેટલાદ તાલુકાના મોરડ અને સંજાયા ગામમાં માધ્યમિક શાળાને મંજૂરી મળતા હવે વિદ્યાર્થીઓને ગામમાં જ મળશે માધ્યમિક શિક્ષણની સુવિધા
આણંદ, શનિવાર , ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વમાં તથા નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યકક્ષાના નાણામંત્રીશ્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના તમામ વર્ગો અને વિસ્તારો સુધી ગુણવત્તાસભર શિક્ષણનો વ્યાપ વધારવાના ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા આ અંગેનો ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગના આ ઠરાવ મુજબ રાજ્યના બિન-આદિજાતિ વિસ્તારોમાં કુલ ૮૫ સરકારી માધ્યમિક શાળાઓ તથા ૦૩ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે.
નવી શરૂ થનારી આ શાળાઓમાં શ્રેષ્ઠ શૈક્ષણિક કાર્ય અને વહીવટી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે નવી જગ્યાઓ ઊભી કરવાનો પણ નિર્ણય કરાયો છે. જે અંતર્ગત શિક્ષણ સહાયક, વહીવટી સહાયક અને સાથી સહાયકની નવી જગ્યાઓ ઊભી કરવા માટે વર્ષ ૨૦૨૬-૨૭ના અંદાજપત્રમાં રૂ. ૪.૪૩ કરોડની માતબર જોગવાઈને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. સરકારના આ આયોજનબદ્ધ પગલાથી રાજ્યમાં શિક્ષણના વ્યાપક વિકાસ અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક સુવિધાઓમાં અભૂતપૂર્વ વધારો થવાની સાથે વિદ્યાર્થીઓને મળતા શિક્ષણ સ્તરમાં પણ સુધારો થશે.
આ સર્વગ્રાહી નિર્ણય અંતર્ગત આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના મોરડ અને સંજાયા ગામમાં પણ નવી માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. ગ્રામજનોની લાંબા સમયની વ્યાજબી માંગણીને પેટલાદના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે ખૂબ જ ગંભીરતાથી લીધી હતી અને મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ બાબતે વ્યક્તિગત રજૂઆત કરી હતી, જેને ધ્યાને રાખીને પેટલાદના વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રીશ્રીએ ઉક્ત બન્ને ગામમાં માધ્યમિક શાળા માટે તાત્કાલિક મંજૂરી આપી છે.
આ નિર્ણયને મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે સંવેદનશીલ અને માનવતાવાદી ગણાવતા વિદ્યાર્થીઓને વતનમાં જ માધ્યમિક શિક્ષણ ઉપલબ્ધ કરાવવા બદલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, કેબિનેટ શિક્ષણ મંત્રી ડૉ.પ્રધ્યુમનભાઈ વાજા અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાનો આભાર વ્યક્ત કર્યો હતો.