પેટલાદ તાલુકાના ધર્મજ ગામે કમળાના કેસમાં સતત ઘટાડો નોંધાયો
પ્રકાશિત તારીખ : 27/02/2025
આજે વધુ ૦૫ કેસ મળતા અત્યાર સુધીમાં કુલ ૧૧૮ કેસ નોંધાયા.
પાણીના મળી આવેલ તમામ ૩૮ લીકેજીસ યુદ્ધના ધોરણે દૂર કરાયા- તલાટી કમ મંત્રી, રોનક ભાવસાર.
૨૭ હજાર થી વધુ ક્લોરિન ટેબલેટનું વિતરણ.
આણંદ, ગુરુવાર: પેટલાદ તાલુકાના ધર્મજ ગામ ખાતે કમળાના કેસ મળી આવતા આરોગ્ય વિભાગ ની ટીમો બનાવીને ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે.
જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ધર્મજ ગામ ખાતે આરોગ્ય વિભાગની ૧૯ જેટલી ટીમો કાર્યરત છે, અને આ ટીમો દ્વારા પાણીના લીકેજિસ શોધવાની કામગીરી અને ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શોધવામાં આવેલ પાણીના ૩૮ જેટલા લીકેજીસની દૂરસ્તીની કામગીરી ગ્રામ પંચાયત ધર્મજ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે, તેમ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રી રોનક ભાવસાર દ્વારા જણાવવામાં આવ્યું છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એ જણાવ્યું કે, ધર્મજ ગામ ખાતે અત્યાર સુધીમાં કુલ ૧૧૮ જેટલા કમળાના કેસ મળી આવ્યા છે, આજે મળેલા ૦૫ નવા કેશની સામે ગતરોજ દાખલ કરવામાં આવેલ ૦૧ દર્દીઓને રજા આપવામાં આવી છે, અને હાલ ૨૨ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કમળાના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે.આ ઉપરાંત આરોગ્ય તંત્ર દ્વારા ૨૭૧૮૯ જેટલી ક્લોરિન ટેબલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતત ગામ ખાતે જ રહીને કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ વ્યક્તિને કમળાના લક્ષણ દેખાય તો જાતે દવા ન લેતા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.
