આદિજાતી મહોત્સવ – ૨૦૨૫: આણંદ જિલ્લો
પ્રકાશિત તારીખ : 21/03/2025
આણંદવાસીઓને ગુજરાત અને ભારતભરના વિવિધ રાજ્યના લોકનૃત્યો અને સંસ્કૃતિઓને જીવંત અનુભવવાનો અનેરો અવસર
આણંદ,શુક્રવાર: રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર અને આણંદ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આણંદની ચાંગા ખાતે આવેલ ચારૂસેટ યુનિવર્સિટીના સહયોગથી “૩૦મો આદિજાતી મહોત્સવ-૨૦૨૫” યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી, શ્રી અક્ષય મકવાણાએ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરવાની સાથે જ પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું કે, આદિજાતી મહોત્સવ અંતર્ગત ગુજરાત અને ભારતભરના વિવિધ રાજ્યના લોકનૃત્યો અને સંસ્કૃતિઓને જીવંત અનુભવવાનો અનેરો લાહવો આણંદના નાગરિકોને મળ્યો છે.વધુમાં તેમણે ઉમેરતા આ બે દિવસીય સમોરોહને દેશભરમાં વસતા આદિવાસી લોક સંસ્કૃતિની ઝલક નવી પેઢી સુધી પહોચાડવાનો સરકારશ્રીનો સરહાનીય પ્રયાસ ગણાવ્યો હતો.
આ વેળાએ ચારૂસેટ યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી અતુલભાઈ પટેલ તથા સ્ટુડન્ટસ કાઉન્સિલના ચેરપર્સન શ્રી ભાસ્કરભાઈ પંડ્યા તથા ચારૂસેટ યુનિવર્સિટીના પ્રાધ્યાપકશ્રીઓ તથા મોટી સંખ્યામાં વિધાર્થીઓએ હાજરી આપી હતી.
આદિજાતી મહોત્સવમાં ગુજરાત અને ભારતભરના વિવિધ રાજ્યના લોકનૃત્યો અને સંસ્કૃતિઓને જીવંત અનુભવવાનો અવસર આદિજાતિ કલાકારોના નૃત્યો દ્વારા આણંદવાસીઓને મળ્યો હતો.
જેમાં આણંદની અગ્નિ ભવાઈ,નર્મદાની વાસાવા હોળી નૃત્ય, છોટાઉદેપુરનું ઘેરૈયા નૃત્ય, તાપીનું ગામિત ઢોલ નૃત્ય, વડોદરાનું મેવાસી હોળી નૃત્ય, ભરૂચનું સીદી ધમાલ એમ ગુજરાતના આદિજાતી જિલ્લામાં વસતા આદિવાસી બાંધવોના આદિજાતી લોક સંસ્કૃતિને ઉજાગર કરતાં નૃત્યોની પ્રસ્તુત કરાયા હતા.
દેશના અન્ય રાજ્યોમાં વસતા આદિજાતી સંસ્કૃતિને પ્રસ્તુત કરતાં નૃત્યોમાં ઓડિસાનું સંભલપુરી નૃત્ય, છત્તીસગઢનું ગૌર મારિયા નૃત્ય, રાજસ્થાનનું આદિવાસી ગૈર નૃત્ય, મધ્ય પ્રદેશનું સૈલા નૃત્ય તેમજ છત્તીસગઢ સહિત ગુજરાતના અન્ય આદિવાસી લોક સંસ્કૃતિની ઝલક પ્રસ્તુત કરવામાં આવી હતી.
