આણંદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની આકસ્મિક મુલાકાત લેતા મ્યુ. કમિશનર મિલિન્દ બાપના
પ્રકાશિત તારીખ : 07/03/2025
નિયત સમય મર્યાદામાં લોકોને સુવિધા ઉપલબ્ધ કરાવવા સુચના
આણંદ, ગુરૂવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાએ આજે મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની આકસ્મિક મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન તેમણે જન્મ મરણના દાખલા માટે આવેલ લોકો સાથે વાત કરી હતી અને મહાનગરપાલિકાના કર્મચારી દ્વારા કેટલી ફી લેવામાં આવે છે ? તથા દાખલા કેટલા સમયમાં આપવામાં આવે છે ? તેમજ કોઈપણ પ્રકારની હેરાનગતિ થાય છે કે કેમ ? તે બાબતે સઘન પૃચ્છા કરી હતી.
આ ઉપરાંત તેમણે લગ્ન નોંધણી વિભાગ અને યુસીડી વિભાગની પણ મુલાકાત લઈને અધિકારી-કર્મચારીઓને નિયત સમય મર્યાદામાં લોકોને શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડવા સૂચના આપી હતી.
કમિશનરશ્રીએ જન્મ મરણના દાખલા લોકોને સમય મર્યાદામાં મળી જાય તે ખૂબ જ જરૂરી છે તેમ જણાવી મહાનગરપાલિકા ખાતે આવતા નગરજનોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે જોવા પણ સૂચના આપી હતી.
કમિશનરશ્રીએ મહાનગરપાલિકા વિસ્તારના લોકોને મહાનગરપાલિકા ખાતે ઉપલબ્ધ કોઈપણ પ્રકારની સેવાઓ સમય મર્યાદામાં ન મળે તો તુરંત તેની જાણ નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓને રૂબરૂ મળીને કરવા અનુરોધ કર્યો છે.
કમિશનરશ્રીની આકસ્મિક મુલાકાત દરમિયાન ફરજ પર ઉપસ્થિત જન્મ મરણ અને લગ્ન નોંધણી વિભાગના કર્મચારીઓને પૂરી નિષ્ઠાથી ફરજ બજાવવા અને જે લોકો મહાનગરપાલિકા ખાતે પોતાના કામ માટે આવે છે તેમને સંતોષકારક જવાબ આપવા કર્મચારીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.