બંધ

સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલ પાણી ના કારણે તારાપુર તાલુકાના ૧૧ ગામ અને ખંભાત તાલુકાના ૦૨ ગામોને સાવધ કરાયા

પ્રકાશિત તારીખ : 08/09/2025

આણંદ,શનિવાર: પુર નિયંત્રણ કક્ષ અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવ્યા મુજબ સાબરમતી નદી ઉપર સ્થિત ધરોઈ ડેમથી મળેલ સૂચના મુજબ  ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ૬૦,૦૦૦ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહેલ છે.

સાબરમતી નદી ઉપર સ્થિત સંત સરોવરથી મળેલ સૂચના મુજબ સંત સરોવર હેઠવાસમાં હાલમા ૧૫,૨૭૫ ક્યુસેક્સ પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલ છે.

સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં હાલમાં  ૨૦૮૦૨ ક્યુસેક્સ પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલ છે. જેમાં ક્રમશ વધારો કરવામાં આવશે. જેથી આ અંગે  નીચાણ વાળા ગામોને સાવધ રહેવા પૂર નિયંત્રણ કક્ષ, અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળના નાયબ કાર્યપાલકી ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ અંગે તારાપુર તાલુકાના સંભવિત ગામો ગલીયાણા, રીંઝા ,ખડા, મિલરામપુરા, ચીતરવાડા, દુગારી, નભોઈ, મોટા કલોદરા, ફતેહપુર, પચેગામ અને કસબારા તથા ખંભાત તાલુકાના ગોલાણા અને પાંદડ ગામોને સાવધ રહેવા માટે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

વાસણા બેરેજની જળાશયની હાલની સપાટી ૧૨૮.૫ફૂટ અને ૩૯.૧૬ મીટર છે, વાસણા બેરેજ માંથી કુલ ૧૩ ગેટ ખોલવામાં આવ્યા છે,તેમ વધુમાં જણાવાયું છે.