બંધ

લૂ લાગવાથી બચીએ, તકેદારીના પગલાં  લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનો અનુરોધ

પ્રકાશિત તારીખ : 11/04/2025

પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું, પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ. દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી સહિતના પીણાનો ઉપયોગ મહત્તમ કરવો.

આણંદ, બુધવાર: ચાલુ વર્ષની શરૂઆતમાં જ દિવસના તાપમાનમાં વધારો થઈ રહયો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સન સ્ટ્રોક)ના કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે.

લુ લાગવા (સન સ્ટ્રોક)ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખુબ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉંચુ હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે અને જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી. જે વ્યકિતના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, આણંદ ના જણાવ્યા મુજબ આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ, પેટલાદ અને આણંદ તથા ૧૪ – સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હિટસ્ટ્રોકના કારણે બિમાર દર્દીઓની સારવાર કરવા વ્યવસ્થા કરવામાં આવી છે, આ ઉપરાંત આણંદ જિલ્લાના તમામ પ્રા.આ.કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવારની વ્યવસ્થા અને ખાસ તાલીમ આરોગ્ય વિભાગના કર્મચારીઓને આપવામાં આવી છે.

હિટસ્ટ્રોક (લું) ના લક્ષણોમાં શરીર અને હાથ પગમાં અસહય દુઃખાવો, ખુબ તરસ લાગવી, ગભરામણ થવી, ચકકર આવવા, શ્વાસ ચઢવો, હૃદયના ધબકારા વધી જવા જેવા લક્ષણો દેખાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈને સારવાર મેળવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

હિટ સ્ટ્રોક (લું) થી બચવા જાહેર જનતા એ તકેદારીઓ રાખવી, જેમાં ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું, ઉનાળાની ઋતુ દરમ્યાન ખુલતા સફેદ સુતરાઉ કપડા પહેરવા જોઈએ, નાના બાળકો, સગર્ભા માતાઓ વૃધ્ધો તથા અશકત વ્યકિતઓએ તડકામાં ફરવું નહી, દિવસ દરમ્યાન પુષ્કાળ પ્રમાણમાં પાણી, પ્રવાહી પીવું શક્ય હોય તો લીબુંનું શરબત બનાવીને પીવું જોઈએ, ભીના કપડાથી માથું ઢાંકી રાખવું અને જરૂર જણાયે અવાર નવાર ભીના કપડાથી શરીર લુછવું, ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું, માથાનો દુખાવો, બેચેની, ચકકર, ઉબકા કે તાવ આવે તો તુર્તજ નજીકના દવાખાના / પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં ડોકટરની સલાહ અને સારવાર લેવી જોઈએ.

હીટવેવથી થતી અસરોથી બચવા પાણી પુષ્કળ પીવો, બહાર નીકળવાનું થાય તો પાણીની બોટલ, લીંબુ પાણી/છાસ/ઓ.આર.એસ.નું પાણી સાથે રાખો અને વારંવાર લેતા રહો, વધારે ગરમી હોય તો માથું ભીના કપડાથી ઢાંકો, જોખમ ધરાવતા લોકો જેવા કે, વૃધ્ધો, બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ, હૃદય, કીડની, કેન્સર, ડાયાબીટીસ, બી.પી.ના દર્દીઓએ બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું, હીટવેવ દરમ્યાન બહારનો ખુલ્લો તથા દૂધની બનાવટો ખાવાનું બને ત્યાં સુધી ટાળવું, પાણી શુધ્ધ હોય તેવું પીવું અન્યથા ગરમીના કારણે પાણીજન્ય રોગો જેવા કે, ઝાડા-ઉલ્ટી, ટાઈફોઈડ, મરડો, કોલેરા જેવા રોગ થવાની શકયતા રહેલી છે.

ગરમીના દિવસો દરમિયાન ઓ.આર.એસ. નો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ જે આશા બહેનો, સબ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામુહિક આરોગ્ય કેન્દ્રો પર વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

 ૧- લીટર પીવાના પાણીમાં ૧ – ઓ.આર.એસ. પેકેટ ઓગાળી આ પાણીનો વારંવાર પીવામાં ઉપયોગ કરવો, જેથી ગરમીથી શરીરની ચામડી-પરસેવા વાટે પાણી ઓછું થતુ અટકાવે છે અને હીટવેવની અસરને ઓછી કરે છે, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એ વધુમાં જણાવ્યું છે.