ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને પાનમ અને કડાણા જળાશયના જળસ્તરમાં સતત વધારો
પ્રકાશિત તારીખ : 03/09/2025
આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના ૨૬ ગામના લોકોને સાવચેત કરાયા
આણંદ, સોમવાર: પાનમ અને કડાણા જળાશયમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને જળાશયની જળસપાટીમાં સતત વધારો થઈ રહેલ છે.
હાલમાં પાનમ જળાશયનું રૂલ લેવલ ૧૨૭.૪૧ મીટર છે. પાનમ જળાશયના કેચમેંટ વિસ્તારમાં સતત વરસાદ ચાલુ હોય તથા ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે જે અન્વયે ચાલુ માસે રૂલ લેવલ જાળવવા માટે બપોરે આજે પાનમ ડેમના ૨ દરવાજા ૧.૨૧ મીટર ખોલવામાં આવશે. દરવાજા મારફતે પાનમ નદીમાં આશરે ૧૧,૨૪૪ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે.જેથી અસરગ્રસ્ત થનાર ગામોને સાવચેત કરવા પાનમ નિયંત્રણ પક્ષ ગોધરા દ્વારા જણાવવામાં આવ્યું છે.
કડાણા જળાશયનું રૂલ લેવલ ૧૨૭.૭૧ મીટર છે. જળાશયના કેચમેંટ વિસ્તારમાં સતત વરસાદ ચાલુ હોય તથા ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે એ અન્વયે ચાલુ માસે રૂલ લેવલ જાળવવા માટે બપોરે આજે કડાણા ડેમના કુલ ૧૦ દરવાજા ૧.૮૨ મીટર ખોલવામાં આવશે. દરવાજા મારફતે નદીમાં આશરે ૧,૧૮,૮૫૦ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે.જેથી અસરગ્રસ્ત થનાર ગામોને સાવચેત કરવા પાનમ નિયંત્રણ પક્ષ ગોધરા દ્વારા જણાવવામાં આવ્યું છે.
જે અન્વયે આણંદ જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જિલ્લાના કુલ ગામો પૈકી બોરસદ તાલુકાના ગાજણા, સારોલ, કંકાપુરા, નાની શેરડી, કોઠીયાખાડ, દહેવાણ, બદલપુર, વાલવોડ મળી કુલ ૮ ગામો, આણંદ તાલુકાના ખાનપુર, ખેરડા,આંકલાવડી, રાજુપુરા મળી કુલ ૪ ગામો, ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા અને ખોરવાડ ૦૨ ગામો તથા આંકલાવ તાલુકાના ચમારા, બામણગામ, ઉમેટા, ખડોલ (ઉમેટા), સંખ્યાડ, કહાનવાડી, આમરોલ, ભાણપુર, આસરમા, નવાખલ, ભેટાસી વાંટો અને ગંભીરા ૧૨ જેટલા ગામો મળીને કુલ ૨૬ ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.