બંધ

આણંદ જિલ્લાના ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરવા અંગે

પ્રકાશિત તારીખ : 05/02/2026

પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોએ આગામી હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત

આણંદ, સોમવાર: ભારત સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરના ભાગરૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મુકેલ છે. એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ તમામ ખેડૂતોના રજીસ્ટ્રેશન માટે ફાર્મર રજીસ્ટ્રી વર્ષ ૨૦૨૪-૨૫ થી અમલમાં મૂકવામાં આવેલ છે. જે અંતર્ગત દરેક ખેડૂતને આધાર આઈડી ની જેમ ૧૧ ડિજિટનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવ્યો છે.

આ ફાર્મર રજીસ્ટ્રીનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ લગત વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને સરળતાથી, પારદર્શક રીતે અને સમયસર પૂરો પાડવાનો છે.

ભારત સરકારશ્રી દ્વારા PM KISAN યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આગામી ૨૨મો હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવેલ છે.

આણંદ જિલ્લાના તમામ ખેડૂતોને ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીની વિવિધ સહાયકારી યોજનાઓના લાભ સરળતાથી મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે.

ફાર્મર રજીસ્ટ્રેશન જે-તે ગામના VCE/VLE (ઓપરેટર) અથવા જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકાય છે. તદઉપરાંત ખેડૂત દ્વારા જાતે મોબાઈલ મારફતે gjfr.agristack.gov.in લીંક દ્વારા સેલ્ફ રજીસ્ટ્રેશન પણ કરી શકાય છે.

ફાર્મર રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ, આધાર કાર્ડ, આધારથી લિન્ક મોબાઈલ નંબર અને જમીનની વિગતોની જરૂરિયાત રહે છે.

આથી, આણંદ જિલ્લાના તમામ ખેડૂતો પીએમ કિસાન યોજના નો આગામી હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન તાકીદે કરાવે તેમ, ગાંધીનગર ના સંયુક્ત ખેતી નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે.