આણંદ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ
પ્રકાશિત તારીખ : 01/03/2025
ટેક હોમ રાશનમાંથી બનતી વાનગીઓ અને મિલેટ આધારિત વાનગીઓ માટે ૩૨ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડીના ત્રણ બહેનોને માતા યશોદા એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
આણંદ,શુક્રવાર: આઇ.સી.ડી.એસ. વિભાગ, જિલ્લા પંચાયત આણંદ તથા આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ફૂડ પ્રોસેસિંગ ટેક્નોલોજી, ઓડિટોરિયમ હોલ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલે જણાવ્યું કે, આજે જે ધાન્ય વિસરાઈ ગયા છે તે જ ધાન્ય આપણા વડિલો આહારમાં લેતાં હતા.જેના કારણે તેમનું દિર્ધ આયુષ્ય જળવાઈ રહેતું હતું. અત્યારના સમયમાં જે પ્રકારના આહાર લેવામાં આવે છે, તે મુજબ તંદુરસ્તી જોખમાવાની સાથે શરીર અનેક બિમારીઓથી ઘેરાય છે. મિલેટ્સને રોજિંદા જીવનમાં પ્રધાન્ય આપવા પર વિશેષ ભાર મુક્યો હતો.
આણંદ કૃષિ યુનિવર્સિટી ના કુલપતિશ્રી કે. બી. કથીરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તર પર મિલેટ્સને રોજ બરોજના પ્રવાહમાં આવરી લેવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જેના પ્રયાસના ભાગરૂપે આજે રાજ્યમાં આ પ્રકારના પોષણ ઉત્સવ યોજાઈ રહ્યા છે, તે નોંધનિય બાબત છે.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે છ માસ પૂર્ણ કરેલ હોય તેવા ભૂલકાઓને અન્ન પ્રાશન કરાવ્યું હતું.
પોષણ ઉત્સવમાં ટેક હોમ રાશનમાંથી બનતી વાનગીઓ માટે ૧૬ ટીમો અને મિલેટ (શ્રીઅન્ન) આધારિત વાનગીઓ માટે ૧૬ ટીમો મળી કુલ ૩૨ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કરનાર ટીમોને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ ઉપરાંત વર્ષ ૨૦૨૧-૨૨ માં શ્રેષ્ઠ કામગીરી કરનાર ત્રણ આંગણવાડી કાર્યકર્તા બહેનોને માતા યશોદા એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે જિલ્લા પ્રોગામ ઓફિસરશ્રી ત્તેજલ બેન શાહએ જણાવ્યું કે, પૌષ્ટિક વાનગી સ્પર્ધાનો હેતુ પૌષ્ટિક આહાર પ્રત્યે જાગૃતિ ફેલાવવાની સાથોસાથ આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોના યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવાનો પણ છે. ટેક હોમ રાશન (માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ), મિલેટસ (શ્રી અન્ન) અને સરગવામાંથી બનતી પોષણયુક્ત વાનગીઓ અંગેની જાગૃતિને શૈક્ષણિક માધ્યમ થકી છેવાડાના લોકો સુધી વ્યાપક રીતે પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
આ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિ.પં.બાંધકામ સમિતિના ચેરમેન, તમામ ઘટકોના સીડીપીઓ, આંગણવાડીની મુખ્ય સેવિકાઓ, આંગણવાડી કાર્યકર બહેનો સહિત ICDS અધિકારી-કર્મચારીઓ અને આંગણવાડીના બાળકો ઉપસ્થિત રહ્યાં હતા.
