આણંદ મહાનગરપાલિકા દ્વારા દર સોમવારે સુપર ક્લોરીનેશન યુક્ત પાણી આપવામાં આવશે
પ્રકાશિત તારીખ : 17/07/2025
વર્ષાઋતુમાં આ પાણીનો ઉપયોગ કરવાથી પાણીજન્ય બીમારીઓથી બચી શકાશે.
આણંદ, બુધવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન મુજબ મહાનગરપાલિકાના તમામ વિસ્તારોમાં વરસાદની ઋતુને ધ્યાને લઈ દર સોમવારે સુપર ક્લોરીનેશનયુક્ત પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આણંદ મહાનગરપાલિકા ના હેલ્થ ઓફિસર ડોક્ટર રાજેશ પટેલ ના જણાવ્યા મુજબ દ્વારા આપવામાં આવનાર સુપર ક્લોરિનેશન પાણી એટલે 0.5 (પાંચ) પીપીએમ નું પ્રમાણ હોય એને સુપર ક્લોરીનેશન કહેવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે વરસાદી ઋતુને કારણે સુપર ક્લોરીનેશનયુક્ત પાણી આપવાથી પાણી થી ફેલાતી બીમારી ના પ્રમાણમાં ઘટાડો નોંધાશે. આ ઉપરાંત બેક્ટેરિયા અને વાયરસ નું પ્રમાણ પાણીમાં ઓછું થશે, પાણીમાં જંતુ હોય ત્યારે પાણીથી થતા રોગો ટાઈફોઇડ, કમળો, કોલેરા, ઝાડા ઉલટી, મરડો જેવી વિવિધ બીમારીઓ ફેલાતી હોય છે ,પરંતુ સુપર ક્લોરીનેશનયુક્ત પાણી આપવાથી આ તમામ રોગ થી બચી શકાશે.
આ ઉપરાંત વરસાદી ઋતુ દરમિયાન પાણીની લાઈનમાં સામાન્ય લિકેજીસ હોય તો પણ રોગના જંતુઓ પેદા થતા હોય છે, અને તેને કારણે સીજનેબલ બીમારી થતી હોય છે, તેથી તમામ નાગરીકોએ સુપર ક્લોરિનેશન યુક્ત પાણી પીવામા ઉપયોગ કરવો જોઈએ, તેમ ડોક્ટર રાજેશ પટેલે ઉમેર્યું હતું.