આરટીઈ એક્ટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ: ૨૦૨૫-૨૬માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-૧માં પ્રવેશની જાહેરાત
પ્રકાશિત તારીખ : 27/02/2025
આણંદ, ગુરૂવાર: રાજ્ય સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ની કલમ ૧૨(૧) ક હેઠળ બીન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા મુજબ વિનામૂલ્યે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોને ૧ જૂન-૨૦૨૫નાં રોજ છ (૦૬) વર્ષ પૂર્ણ કરેલ હોય અને અગ્રતાક્રમ ધરાવતા હોય તે જ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે.
પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી https://rte.orpgujarat.com વેબસાઈટ પર તા. ૨૮/૦૨/૨૦૨૫ થી તા. ૧૨/૦૩/૨૦૨૫ દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકાશે.આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર-પુરાવા કયા અધિકારીના રજુ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. અરજદાર જરૂરી આધાર- પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમયમર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો,ઈન્કમટેક્ષ રીટર્ન તથા ઈન્કમ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા ઐગેનું સેલ્ફ ડિકલેરેશન( લાગુ પડતું હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે.ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી, તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.